
મહેસાણા,20 જાન્યુઆરી (હિ.સ.)
વિસનગર ખાતે આવેલી સી. મહિલા આર્ટ્સ અને શેઠ સી. એન. કોમર્સ કોલેજમાં સોમવારના રોજ કવચ કેન્દ્ર અંતર્ગત સાયબર સુરક્ષા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ડૉ. એમ. એફ. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં શહેરના પી.આઇ. કે. બી. પટેલ તથા મહેસાણા સાયબર ક્રાઇમ વિભાગના જગદીશ એફ. ચૌધરીએ હાજરી આપી હતી. તેમણે કોમ્પ્યુટર, મોબાઈલ, નેટવર્ક અને ઇન્ટરનેટ આધારિત સિસ્ટમોને સાયબર હુમલાઓથી સુરક્ષિત રાખવાની પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડેટાને હેકિંગ, વાયરસ, મેલવેર, ફિશિંગ અને રેન્સમવેર જેવા ખતરાઓથી કેવી રીતે બચાવવું તે અંગે ઉદાહરણો સાથે સમજાવાયું હતું.
વક્તાઓએ જણાવ્યું હતું કે સાયબર સુરક્ષાનું મુખ્ય હેતુ માહિતીની ગુપ્તતા, અખંડિતતા અને ઉપલબ્ધતા જાળવવાનું છે. મજબૂત પાસવર્ડ, ટુ-ફેક્ટર ઓથેન્ટીકેશન, એન્ટી વાયરસ સોફ્ટવેર, ફાયરવોલ અને નિયમિત સોફ્ટવેર અપડેટ દ્વારા સાયબર હુમલાઓને અસરકારક રીતે અટકાવી શકાય છે.
આ સેમિનારથી વિદ્યાર્થીઓમાં સાયબર જાગૃતિ વધશે અને ડિજિટલ યુગમાં પોતાને સુરક્ષિત રાખવામાં મદદ મળશે તેમ કોલેજ તંત્રએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR