
મહેસાણા,20 જાન્યુઆરી (હિ.સ.
મહેસાણા શહેરના રાધનપુર ચોકડી ઉપર લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલો સોમવારે ફરી એકવાર ટ્રાયલબેઝ પર શરૂ કરવામાં આવ્યા હતા. જોકે, ટ્રાયલના પ્રથમ જ દિવસે શહેરવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારે તેમજ સાંજના વ્યસ્ત સમયમાં લોકો એક-એક કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા.
રાધનપુર ચોકડીના પાંચેય રસ્તા ઉપર લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલો દરેક ચાર મિનિટ બાદ ચાલુ થતાં, દરેક દિશામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પરિણામે સ્કૂલ બસો, ઓફિસ જતાં કર્મચારીઓ, વેપારીઓ તેમજ એમ્બ્યુલન્સ જેવી આવશ્યક સેવાઓને પણ ભારે અડચણો સર્જાઈ હતી. ટ્રાફિક જામને કારણે આસપાસના વિસ્તારોમાં પણ અવરજવર ખોરવાઈ ગઈ હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ટ્રાફિક સિગ્નલનો સમય યોગ્ય રીતે સેટ ન થવાને કારણે સમસ્યા વધુ વકરી છે. સૂત્રો મુજબ, ટ્રાફિક વિભાગ દ્વારા સવાર અને સાંજના સમયગાળા દરમિયાન એક અઠવાડિયા સુધી ટ્રાયલ કરીને સિગ્નલનો સમય સુધારવામાં આવશે.
શહેરવાસીઓની માંગ છે કે ટ્રાયલ દરમિયાન ટ્રાફિક પોલીસની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવે અને સિગ્નલ ટાઈમિંગમાં તાત્કાલિક ફેરફાર કરીને લોકોને રાહત આપવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR