
અમદાવાદ, 14 ફેબ્રુઆરી (હિ.સ.) : ભારતીય રેલ દ્વારા ગુજરાતમાં આધુનિક રેલ સેવાઓના વિસ્તરણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા અસારવા–ઉદયપુર સિટી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ ગુજરાતની છઠ્ઠી વંદે ભારત ટ્રેન હશે, જે ક્ષેત્રીય કનેક્ટિવિટીને મજબૂત બનાવવાની સાથે-સાથે મુસાફરોની સુવિધા, પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે.
ભારતીય રેલ અપગ્રેડ કરાયેલા સ્ટેશનો, નવી રેલ લાઈનો અને અદ્યતન સુવિધાઓ દ્વારા ક્ષેત્રીય વિકાસ અને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ આ પ્રતિબદ્ધતાનું એક સશક્ત ઉદાહરણ છે.
આ અદ્યતન ટ્રેન રીક્લાઈનિંગ અને આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોયલેટ, સ્વચાલિત પ્રવેશ અને નિકાસ દ્વાર તેમજ સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેન મુસાફરોને વિશ્વસ્તરીય આરામ પ્રદાન કરતા ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ આપશે.
ઉદ્ઘાટન સેવા:
ટ્રેન નંબર 09663 ઉદયપુર સિટી–અસારવા વંદે ભારત એક્સપ્રેસ 16 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉદયપુર સિટી થી 12:25 વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે 17:15 વાગ્યે અસારવા પહોંચશે. માર્ગમાં આ ટ્રેન જાવર, ડુંગરપુર અને હિંમતનગર સ્ટેશનો પર રોકાશે.
નિયમિત સેવા: અઠવાડિયામાં 6 દિવસ મંગળવાર સિવાય
ટ્રેન નંબર 26964 અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) અસારવા થી 17:45 વાગ્યે પ્રસ્થાન કરશે અને 22:00 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 26963 ઉદયપુર સિટી–અસારવા વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) ઉદયપુર સિટીથી 06:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને 10:25 વાગ્યે અસારવા પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર અને જાવર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર સહિત કુલ 8 કોચ હશે.
ટ્રેન નંબર 26964 માટે બુકિંગ 15 ફેબ્રુઆરી, 2026 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ