

પાટણ, 14 ફેબ્રુઆરી (હિ.સ.) : ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન બ્રહ્માંડેશ્વર મહાદેવની વર્ષો જૂની પરંપરા મુજબ ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા રવિવારે, 15 ફેબ્રુઆરી 2026ના રોજ મોટી સંખ્યામાં શિવભક્તોની હાજરીમાં યોજાશે.
નગરયાત્રા સવારે 10:30 કલાકે નદીના પૂર્વ કિનારે આવેલા રાજરાજેશ્વર બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરશે. વરઘોડામાં ઘોડાઓ, નાગશી ડંકો, બળદગાડું, ઊંટલારી તેમજ વિવિધ ભજન મંડળો અને શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાશે, જેથી સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાશે.
આ ધાર્મિક પ્રસંગે સાધુ-સંતો વિશેષ ઉપસ્થિત રહી યાત્રાને આશીર્વાદ આપશે. બ્રહ્માંડેશ્વર મહાદેવ સંસ્થાન દ્વારા શહેર તથા આસપાસના તમામ શિવભક્તોને આ પવિત્ર નગરયાત્રામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે, અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ