

પાટણ, 15 ફેબ્રુઆરી (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પાટણ શહેરના કેશવ વસ્તી વિસ્તારમાં વિલાજ પાર્ટી પ્લોટ ખાતે હિન્દુ મહાસંમેલન યોજાયું હતું. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સમાજમાં સમરસતા અને ભાઈચારાનો ભાવ મજબૂત બનાવવાનો હતો.
સંમેલનમાં પ્રાચીન હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા જાળવી એક વિરાટ રાષ્ટ્રના નિર્માણ પર ભાર મૂકાયો હતો. સંતો, મહંતો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સમાજમાં એકતા, નૈતિકતા અને દેશપ્રેમના સંદેશો આપ્યા હતા.
કાર્યક્રમમાં સંત વસંતગીરી ગુરુ કલ્યાણગીરી મહારાજ (વિજય હનુમાન આશ્રમ), સંયોજક યશપાલભાઈ સ્વામી, ડો. જય ધ્રુવ, પ્રો. નવીન પ્રજાપતિ તથા વિમળાબેન પટેલ (ઊંઝા) સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
વક્તાઓએ ધર્મ, રાષ્ટ્રભાવના અને સમરસતા જાળવવા પર ભાર મૂક્યો હતો. ડો. બાબુભાઈ પ્રજાપતિ અને અમીબેન મોદીએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને દીકરીઓમાં સંસ્કાર જાગૃતિ અંગે સંવાદ રજૂ કર્યો હતો. સાથે જ દીકરીઓ દ્વારા તલવારબાજી અને શિવાજી મહારાજ પર પ્રેરણાદાયક વક્તવ્ય રજૂ કરાયું હતું.
અંતમાં આરએસએસના ઉદ્દેશ્યો અને કાર્યપદ્ધતિ અંગે સમજ આપવામાં આવી અને દાતાઓનું સન્માન કરાયું હતું. સમાપન બાદ ઉપસ્થિત સૌએ સમરસતાના ભાવ સાથે સમૂહ ભોજન લીધું હતું. સંમેલન સમિતિના કાર્યકરોના પ્રયાસોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ