

સુરત, 11 માર્ચ (હિ.સ.)-સુરતના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલી જાણીતી એથર કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ કંપનીના ગોડાઉન વિસ્તારમાં એક પછી એક વિસ્ફોટ થતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં 30થી વધુ વિસ્ફોટ થયા હોવાની માહિતી મળી રહી છે.
આગ લાગ્યાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. આગ વિકરાળ બનતા વધુ ફાયર બ્રિગેડની મદદ પણ મંગાવવામાં આવી છે.
આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. ફાયર વિભાગના અધિકારીઓ મુજબ આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી રહી છે.
આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલ માલસામાનને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જો કે, એથર કંપની સહિત આસપાસની ચાર જેટલી મિલોમાં પણ આગની અસર પહોંચી હોવાની માહિતી મળી રહી છે અને કંપનીમાં કેટલાક મોટા વિસ્ફોટ પણ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે.
હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે