

મહેસાણા, 14 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લાના ગંગેટ ગામના નિવૃત્ત શિક્ષક રમેશભાઈ ગાય આધારિત ઉત્પાદનો બનાવી સ્વરોજગારનું અનોખું મોડેલ ઉભું કરી રહ્યા છે. લગભગ 62 વર્ષના રમેશભાઈએ B.A. અને B.Ed (English) સુધી અભ્યાસ કરીને વર્ષો સુધી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી હતી. નિવૃત્તિ બાદ તેમણે ગૌસેવા દ્વારા સમાજ માટે કંઈક ઉપયોગી કાર્ય કરવાનો નિર્ણય લીધો.
રમેશભાઈ પાસે હાલમાં કાંકરેજ જાતીની બે ગાયો છે. આ ગાયો પરથી તેઓ ગાયના દૂધ, મૂત્ર અને છાણનો ઉપયોગ કરીને અંદાજે 20 જેટલા વિવિધ પ્રોડક્ટ બનાવે છે. ગાયના દૂધમાંથી હાથથી વલોવેલું શુદ્ધ ઘી તૈયાર કરવામાં આવે છે, જે બજારમાં ₹2500 થી ₹3000 પ્રતિ કિલો સુધી વેચાય છે. ઉપરાંત ગાયના મૂત્રમાંથી અર્ક, આયુર્વેદિક તેલ, શેમ્પૂ અને સાબુ જેવા ઉત્પાદનો પણ તૈયાર કરવામાં આવે છે.
આ સિવાય ગાયના છાણ અને પંચગવ્યમાંથી ધૂપસળી, અગરબત્તી અને અન્ય ધાર્મિક ઉપયોગી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. તમામ પ્રોડક્ટ્સ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ઘરે જ તૈયાર કરવામાં આવે છે.
રમેશભાઈના જણાવ્યા મુજબ એક ગાયમાંથી વાર્ષિક અંદાજે ₹2 લાખ સુધીની આવક મેળવી શકાય છે. હાલમાં બે ગાયો પરથી તેઓ મહિને અંદાજે ₹30 હજારથી ₹40 હજાર સુધીની આવક મેળવી રહ્યા છે. ગૌસેવા સાથે સ્વરોજગાર ઉભો કરીને રમેશભાઈ અન્ય લોકોને પણ પ્રેરણા આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR