

પાટણ, 14 માર્ચ (હિ.સ.)સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા મુદ્દે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી. લાંબા સમયથી ચાલી રહેલા મનદુઃખે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષો વચ્ચે પથ્થરમારો અને ઘાતક હથિયારો વડે હુમલા થયા. આ હિંસક સંઘર્ષમાં 20 પુરુષો અને 5 મહિલાઓ સહિત કુલ 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, રાઠોડ અને જાદવ સમાજ વચ્ચે વરઘોડા બાબતે જૂની અદાવત ચાલી રહી હતી. ગત શુક્રવારે પોલીસ બંદોબસ્ત હેઠળ ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તેની અદાવત રાખીને આજે સવારે જાન જતા સમયે ટોળાએ અચાનક હુમલો કર્યો અને ગામમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ ગઈ.
ઘટના બાદ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિહોરી અને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. ઘટનાની ગંભીરતા જોતા સરસ્વતી પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને હુમલાખોરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ