


મહેસાણા, 14 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા થી પાટણ જતાં માર્ગ પર આવેલા માતપુર, બાલીસણા અને આસપાસના ગામોમાં કુદરતી રીતે ઉગેલા રાયણના ઝાડો સ્થાનિક લોકો માટે આવકનું મહત્વપૂર્ણ સાધન બની રહ્યા છે. ઉનાળાની સીઝન શરૂ થતા જ આ ઝાડ પર આવતું રાયણ ફળ તોડી સ્થાનિક લોકો રોડકાંઠે તેનું વેચાણ શરૂ કરે છે.
માતપુર થી બાલીસણા જતાં માર્ગ પર દર વર્ષે અંદાજે 10 થી 15 જેટલા નાના વેપારીઓ લારી કે વાસણોમાં રાયણ ભરી વેચતા જોવા મળે છે. વર્ષોથી ચાલતી આવી પરંપરાના કારણે આ વિસ્તાર રાયણ માટે ઓળખ પામ્યો છે. મુસાફરો પણ અહીં રોકાઈને આ કુદરતી ફળ ખરીદવાનું પસંદ કરે છે.
સ્થાનિક વેપારી રણછોડભાઈ જણાવે છે કે તેઓ વર્ષોથી રાયણ તોડી તેનું વેચાણ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રાયણના ઝાડોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઝાડ ઊંચા હોવાના કારણે ફળ તોડવા માટે મજૂરો રાખવા પડે છે અને મજૂરી પણ વધતી જઈ રહી છે.
રાયણની સીઝન સામાન્ય રીતે 15 થી 20 દિવસ જેટલી જ રહે છે. હાલ બજારમાં રાયણનો ભાવ અંદાજે ₹200 થી ₹250 પ્રતિ કિલો સુધી જોવા મળે છે. સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર આ ઋતુઆધારિત ફળ ઉનાળામાં શરીરને ઠંડક આપે છે અને આરોગ્ય માટે પણ લાભદાયી માનવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR