
અમદાવાદ, 18 માર્ચ (હિ.સ.) અમદાવાદ શહેરમાં અંગ્રેજોએ બનાવેલ શાહીબાગ અંડર બ્રિજ ફરી એકવાર વાહનની અવરજવર માટે બંધ કરાશે. રેલવે ટ્રેક રીપેરીંગની કામગીરી ચાલતી હોવાના કારણે આવતીકાલ 19 થી 28 માર્ચ દરમિયાન બપોરે 12 થી 5 અને રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી અન્ડર બ્રિજ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. જેથી વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
શાહીબાગ અંડરબ્રિજના ત્રણેય પ્રવેશ તેમજ નિકાસમાર્ગ 19 માર્ચ 2026થી 28 માર્ચ 2026 સુધીના સવારે 12થી 5 વાગ્યા સુધી અને રાતના 12થી સવારના 5 વાગ્યા સુધી વાહન વ્યવહારની અવરજવર માટે બંધ રહેશે. આ સિવાયના સમય પર વાહનચાલકો આ રસ્તેથી અવર-જવર કરી શકશે.
અમદાવાદનો સૌથી વ્યસ્ત ગણાતો સુભાષ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે શાહીબાગ અંડર બ્રિજ પણ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે પાંચ દિવસ બંધ રાખવામાં આવ્યો હતો. જે 28 જાન્યુઆરીના રોજ કામગીરી પૂર્ણ થઈ જતા સવારથી શાહીબાગ અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ