
વલસાડ, 18 માર્ચ (હિ.સ.) : વલસાડ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા બે ધન્વંતરી આરોગ્ય રથ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડનનું એક વાહન આરોગ્ય સંજીવની મળી કુલ ત્રણ વાહનનું લોકાર્પણ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા હોય એવા બાંધકામ શ્રમિકોને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવાઓ મળી રહે તે હેતુથી વલસાડ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ બે ધન્વંતરી આરોગ્ય રથ તથા એક શ્રમયોગી આરોગ્ય સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે વલસાડ જિલ્લાના ગર્વમેન્ટ લેબર ઓફિસર નિરવ પરમાર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના પ્રોજેકટ મેનેજર ભાવિકાબેન ભૂસારા, રીનલભાઈ પી.ચૌધરી, કૃતિકભાઈ એન.પટેલ, મોબાઈલ હેલ્થ યુનિટના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પ્રવિણ ભારતભાઈ ગોલતકર અને મેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે