



પોરબંદર, 25 માર્ચ (હિ.સ.) : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને સમસ્ત સનાતની સમાજ દ્વારા પોરબંદરમાં ભવ્ય શોભા યાત્રાના આયોજન અંગે વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. શહેરના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી ભવ્ય અને દિવ્ય શોભા યાત્રાના આયોજનના ભાગરૂપે ગત જાનકી મઢ શ્રીરામજી મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પોરબંદર શહેરના વિવિધ જ્ઞાતિ-સમાજના પ્રમુખ, ટ્રસ્ટી, આગેવાન, મંત્રીઓ અને પટેલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંગઠન દ્વારા શોભાયાત્રાની રૂપરેખા આપવામાં આવી હતી જેમાં આગામી તારીખ 26/3/26 ના રોજ નીકળનારી ભવ્ય શોભા યાત્રા વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ યાત્રાને અભૂતપૂર્વ બનાવવા માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો પ્રમુખ, પટેલને ભગવાન શ્રીરામજીની દિવ્ય શોભાયાત્રામાં પોતપોતાના સમાજ સાથે જોડાવવા અને યાત્રાની શોભા વધારવા માટે ભાવભર્યું આમંત્રણ અને વિનંતી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા પ્રાસંગિક અને પ્રેરણાદાયી 'બૌધિક પ્રવચન'આપવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌ કોઈએ મન ભરીને બિરદાવ્યું હતું. આ બેઠકને સફળ બનાવવા માટે સંગઠનના સૌ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં હાજર રહી પોતાની એકતાનું દર્શન કરાવ્યું હતું.
આગામી તારીખ 26/3/26ના યોજાનારી આ શોભા યાત્રા પોરબંદરના ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરશે તેવો આશાવાદ તમામ આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya