
મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) : વિસનગર તાલુકામાં એક જ રાત્રિ દરમિયાન અલગ-અલગ ગામોમાં ખેતરોમાં ચોરીની ઘટનાઓ સામે આવતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. તસ્કરોએ કુલ ₹1.36 લાખથી વધુની મત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને બનાવોમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મગરોડા ગામના ભગાભાના વાસમાં રહેતા 50 વર્ષીય ખેડૂત ઇશ્વરભાઇ હરીભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે કે 23 માર્ચની સાંજે તેઓ પોતાના ‘બોરીના વાંટા’ ખેતરે એરંડાની માળો ઉતારી ખળામાં પાથરી ગયા હતા. બીજા દિવસે સવારે પહોંચતા અંદાજે 80 મણ, કિંમત ₹96,000ના એરંડા ગાયબ હતા. સ્થળ પરથી ટ્રેક્ટરના ટાયરના નિશાન મળતાં તસ્કરો ટ્રેક્ટર વડે માલ લઈ ગયા હોવાની શક્યતા છે.
અન્ય બનાવમાં રંગાકુંઈ ગામના સુરેશભાઈ સોમાભાઈ ચૌધરીના ‘વેસલાદરી’ ખેતરમાં બોરની ઓરડીનું તાળું તોડી કોપ્ટન પંપ અને અન્ય સામાન ચોરી ગયો હતો. નજીકના સંજયભાઈ ચૌધરીના ખેતરમાંથી પણ 20 મીટર કેબલ, સ્ટાર્ટર સામાન, વેલ્ડિંગ મશીન સહિત કુલ ₹40,500ની મત્તા લૂંટાઈ હતી.
બંને બનાવોને પગલે પોલીસે તપાસ તેજ કરી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR