
પાટણ, 26 માર્ચ (હિ.સ.)પાટણ શહેરમાં ₹77.38 કરોડના ખર્ચે બનાવાયેલ આઇકોનિક બસપોર્ટનું આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થશે. 31,274 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ બસપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. સાત વર્ષના લાંબા વિલંબ અને કોરોનાકાળના કારણે અટકેલી કામગીરી બાદ આ પ્રોજેક્ટ હવે પૂર્ણ થયો છે.
આ નવનિર્મિત બસપોર્ટમાં મુસાફરો માટે 500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા સાથે 100થી વધુ સ્ટીલના બાંકડા મુકવામાં આવ્યા છે. સાથે જ 2700 વાહનો માટે બે માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવાયું છે. બે પ્લેટફોર્મ પર કુલ 18 બસો એકસાથે ઊભી રહી શકે તેવી સુવિધા છે અને ચડવા-ઉતરવા માટે અલગ વિભાગ બનાવાયા છે.
મુસાફરોની સુવિધા માટે દરેક પ્લેટફોર્મ પર LED ટીવી દ્વારા રૂટની માહિતી આપવામાં આવશે. ઉપરાંત પીવાનું શુદ્ધ પાણી માટે RO પ્લાન્ટ, કેન્ટીન, પૂછપરછ કાઉન્ટર અને વિદ્યાર્થી પાસ માટે અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રાઈવર અને કંડક્ટરો માટે આધુનિક રેસ્ટ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
બસપોર્ટની ડિઝાઇન પાટણની ઐતિહાસિક રાણીકી વાવ અને પટોળા કળાથી પ્રેરિત છે, જે તેને વિશિષ્ટ બનાવે છે. 28 તારીખથી અહીંથી બસ સેવા શરૂ થશે, જેમાં સવારે 5:15 વાગ્યે પાટણ-બરોડા રૂટની પ્રથમ બસ રવાના થશે. મહેસાણા, ચાણસ્મા, હારીજ અને ઊંઝા સહિતના રૂટ પરની બસો પણ અહીંથી ચલાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ