
જામનગર, 27 માર્ચ (હિ.સ.) : જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના બંને જિલ્લામાં બાકી રોકાતી વીજ બિલની વસૂલાત માટે વીજ જોડાણ કટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. કુલ 148.28 લાખની બાકી વસૂલાત અન્વયે 3894 વીજ જોડાણ કટ કરવામાં આવ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે.
પીજીવીસીએલ-જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર જીલ્લા તથા દેવભૂમી દ્વારકા જીલ્લાના વીજ ગ્રાહકોની નાણાકીય વર્ષ 2025-26 ના ફેબ્રુઆરી-2026 દરમ્યાન વીજ બીલ પેટે માતબર રકમ બાકી હોય જેથી બાકી બીલની રકમ વાળા ગ્રાહકો સામે ચાલુ માસમાં જ નાણાની વસૂલાત કરવા માટે ખૂબ જ કડકાઇથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જે અંગે વીજજોડાણો કાપવા માટે 342 થી વધુ ટીમો બનાવી મીટર તથા સર્વિસ કે જરૂર પડ્યે ટીસી ઉતારી લેવા માટે બંને જીલ્લામાં ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે, અને જે અંતર્ગત 3894 વીજ જોડાણ કટ કરવામાં આવ્યા હતા. જ્યારે 2601 ગ્રાહકો દ્વારા વીજ બીલના રૂ.152.61 લાખની રકમ જોડાણ કટ થાય તે પહેલા જ ભરપાઈ કરી આપવામાં આવી હતી.
આમ કુલ 6495 ગ્રાહકોની રૂ.300.89 લાખની વસૂલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જ્યારે 1025 વીજ ગ્રાહકોએ પોતાના જોડાણ કટ થયા પછી રૂ.37.42 લાખની બિલની રકમ ભરપાઇ કરી આપતા તેમના જોડાણો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt