

પાટણ, 28 માર્ચ (હિ.સ.)પાટણના મીરા દરવાજા વિસ્તારમાં વિપુલભાઈના પરિવારે સ્વર્ગસ્થ પુત્ર નીલુના જન્મદિવસ નિમિત્તે અંબાજી દર્શનનો વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો. બે વર્ષ અગાઉ હરિદ્વારમાં થયેલી દુઃખદ ઘટનાના બાદ પરિવારમાં પુત્ર રત્નનો જન્મ થતાં આ પ્રસંગ ખુશીના માહોલમાં ઉજવાયો હતો.
બે વર્ષ પહેલા હરિદ્વારમાં ગંગા નદીમાં પુત્રના અવસાનથી પરિવાર પર આફત આવી પડી હતી, ત્યારે મીરા દરવાજા વિસ્તાર અને પાટણના લોકોએ પરિવારને સહારો આપ્યો હતો. લોકોની પ્રાર્થનાઓ બાદ પરિવારને ફરી પુત્ર રત્નની પ્રાપ્તિ થતા આ કાર્યક્રમ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત વિસ્તારના લોકો વિલેજ પાર્ટી પ્લોટ ખાતે ભોજન કરીને અંબાજી માટે રવાના થયા હતા. દિવસ દરમિયાન દર્શન અને પ્રવાસ કર્યા બાદ રાત્રે પરત ફરી ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવાનો આયોજન કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું કે વિસ્તારના લોકો હંમેશા સુખ-દુઃખમાં સાથે રહ્યા છે, જેના કારણે આજે આ ખુશી વધુ વિશેષ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ