
પાટણ, 28 માર્ચ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગોરી માતા પાટિયાથી માતાજીના મંદિર સુધી મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂ. 75 લાખના ખર્ચે 400 મીટર લાંબા સીસી રોડ (ગૌરવ પથ)નું શનિવારે બપોરે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈના વરદ હસ્તે ગૌરી માતાના ગેટ પાસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું.
રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું કે રોડ મંજૂર કરાવવું અને બજેટ વધારવાનું કામ પૂર્ણ થયું છે, હવે ગુણવત્તાપૂર્ણ કામ થાય તે જોવા ગામજનોની જવાબદારી છે. તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝન હેઠળ ગામડાઓમાં વિકાસ કામો આગળ વધી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય ગેમરભાઈ દેસાઈએ કેનાલ રોડથી ઝીંઝુવાડા અને જમણપુર રોડ માટે રજૂઆત કરી હતી. સરપંચ કાજલબેન વ્યાસ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ