
ગીર સોમનાથ, 31 માર્ચ (હિ.સ.) : સોમનાથની વેણેશ્વર સોસાયટી આસપાસની ખાઈ ઝાડી ઝાંખરાના વિસ્તારમાં દીપડાઓએ ધામા નાખ્યા છે. આજુબાજુ રહેતા લોકોમાં ભય વ્યાપ્યો છે. જેમાં વેણેશ્વર સોસાયટીમાં રહેતા સોમનાથ ટ્રસ્ટ કર્મચારી જીગ્નેશ ભટ્ટે સાંજે ચાર વાગ્યે અચાનક દિપડો જોતા તેને તુરત જ વેરાવળ વિભાગને જાણ કરતા વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેની ટીમે માત્ર બે કલાકના ગાળામાં સાંજે દીપડાની અવરજવર વાળા તે વિસ્તારમાં દીપડાને પકડવા એક પાંજરું ગોઠવેલ છે અને તેનું ધ્યાન રાખવા એક કર્મચારીનો પણ પ્રબંધ કરેલ છે.
આ વિસ્તારમાં દીપડાઓને ઝાડી ઝાંખરા અગોચર જંગલ કારણે રહેવાની સુવિધા અને બાજુમાં જ નદી હોય પીવાના પાણીની અને ખોરાક માટેની સુવિધા મળી રહેતી હોય દીપડાઓ અવારનવાર આ વિસ્તારમાં રહેઠાણ બનાવે છે. વનતંત્રે તરત જ આ દીપડાને પકડવા કાર્યવાહી હાથ ધરતાં લોકોમાં સંતોષ અને રાહત પ્રસરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ