

- પુત્ર ગુમાવ્યો, પણ ત્રણ જીવ બચાવ્યા: પિતાની સંમતિથી સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન
અમદાવાદ, 31 માર્ચ (હિ.સ.) : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક ભાવુક અને પ્રેરણાદાયી અંગદાનની ઘટના સામે આવી છે, જેમાં પિતાએ પોતાના યુવાન પુત્રને ગુમાવ્યાના દુઃખ વચ્ચે પણ તેના અંગો દાન કરીને ત્રણ લોકોને નવજીવન આપવાનો મહાન નિર્ણય લીધો છે.
ભાવનગર ખાતે રહેતા 22 વર્ષીય હિરેનભાઈ પ્રવીણભાઈ કંટારીયાને 27 માર્ચ, 2026ના રોજ બાઈક અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે 28 માર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન 30 માર્ચે તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
આ દુખદ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. નિમેશ દેસાઈ અને ડૉ. મોહિત ચંપાવત દ્વારા પરિવારને અંગદાન અંગે સમજાવવામાં આવ્યું. પોતાના પુત્રને ગુમાવ્યાના ગાઢ દુઃખ વચ્ચે પિતા પ્રવીણભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અંગદાન માટે સંમતિ આપી.
આ નિર્ણયના પરિણામે એક લીવર અને બે કિડનીનું સફળ દાન પ્રાપ્ત થયું છે, જેનાથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે. આ તમામ પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલ, અમદાવાદના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, આ સાથે હોસ્પિટલમાં કુલ 233 અંગદાન પૂર્ણ થયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 770 અંગોનું દાન મળ્યું છે. આ ઉપરાંત 192 ચક્ષુ અને 41 ચામડીના દાન સાથે કુલ 1003 અંગો અને પેશીઓનું દાન મેળવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ