
નવસારી, 08 માર્ચ (હિ.સ.): નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થનારા રૂ.173.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ન્યુ લિંક ધોલાઈ–માસા–કૃષ્ણપુર રોડના કામનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રકલ્પથી વિસ્તારમાં આવનારા સમયમાં પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે કનેક્ટિવિટી મજબૂત બનશે.
આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા મંત્રી સી.આર. પાટીલએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સુવિધાસભર રસ્તાઓનું નિર્માણ કરી વિકાસને નવી દિશા આપવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત રાજ્યમાં આકાર પામી રહેલા કોસ્ટલ હાઈવે અંતર્ગત ધોલાઈ–માસા–કૃષ્ણપુર રોડ બનવાથી નવસારી જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે અને ઉદ્યોગ, ખેતી તથા વેપાર ક્ષેત્રે નવી તકો ઉભી થશે. સાથે નવસારી વિસ્તારની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
વધુમાં મંત્રી જણાવ્યું કે , ભવિષ્યમાં નવસારી જિલ્લામાં પી.એમ મિત્ર પાર્ક જેવા મોટા પ્રકલ્પો માટે મજબૂત માર્ગ કનેક્ટિવિટી અત્યંત જરૂરી છે. આવા માર્ગ પ્રકલ્પો અમલમાં આવવાથી ઉદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે અને વિસ્તારમાં રોજગારીના અવસર વધશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આવા મહત્વપૂર્ણ માર્ગ પ્રકલ્પોથી ગામડાંઓ શહેરો સાથે વધુ સારી રીતે જોડાશે, જેના પરિણામે સ્થાનિક લોકોને રોજગારી અને વ્યવસાયની નવી તકો પ્રાપ્ત થશે.
આ સાથે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા સ્વાગત પ્રવચન કરી પ્રકલ્પની ટેકનિકલ વિગતો રજૂ કરી હતી કાર્યક્રમના પ્રારંભમાં નવસારી કાર્યપાલક ઈજનેર એમ .એસ.પટેલ દ્વારા ધોલાઈ – માસા-કૃષ્ણપુર ન્યુ લિંક રોડની વિગતવાર માહિતી મેપના માધ્યમ થકી મંત્રીઓ તથા મહાનુભવોને આપી હતી.
આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ તથા નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ,ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગના અધિક સચિવ અને મિશન ડાયરેક્ટર કમલ કિશોર સોન, પેયજળ ડિરેક્ટર હરિ નારાયણ, નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે