
ગાંધીનગર, 16 એપ્રિલ (હિ.સ.) ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના પ્રિ-નેટલ કેર વિભાગ અને ટોડલર એજ્યુકેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે 17 એપ્રિલના રોજ સવારે 9 થી સાંજના 6 કલાક સુધી એક દિવસીય 'રાષ્ટ્રીય કાર્યશાળા'નું આયોજન કરવામાં આવ્યું છે.
'સંતાન વિકાસની સમગ્ર દૃષ્ટિ: ગર્ભાધાનથી શૈશવ શિક્ષણ સુધી' વિષય સાથે આ કાર્યશાળા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી,ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાશે. જેમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રતિભાગીઓએ સહભાગી થશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગર્ભાધાનથી શૈશવ અવસ્થાની વચ્ચે સંતાનના શારીરિક, માનસિક, ભાવનાત્મક તથા બુદ્ધિ વિકાસને સમન્વિત અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનો છે.
કાર્યક્રમ અંતર્ગત ગર્ભાધાન પૂર્વ સ્વાસ્થ્ય અને ગર્ભ વિજ્ઞાન,ગર્ભ સંસ્કાર, આયુર્વેદ અને ભારતીય જ્ઞાન પરંપરા, ભ્રૂણ વિકાસ, તંત્રિકા તંત્ર અને મગજનો વિકાસ, સ્વાસ્થ્ય-પોષણ અને ભાવનાત્મક વિકાસ, પરિવાર રચનામાં પરિવર્તન તેમજ નીતિ, શાસન અને સમકાલીન પરિપ્રેક્ષ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. સાથેસાથે, સેમિનારમાં સંશોધન પત્રો પણ રજૂ કરવામાં આવશે.
એક દિવસીય કાર્યશાળામાં વિષય નિષ્ણાત તરીકે ડૉ. અવનીશ ભટનાગર, ડૉ. હિતેશ જાની, પ્રો. કમલેશ ચોક્સી, ડૉ. ધવલ ઢોલકિયા, ડૉ. હેતલ પટેલ તેમજ ડૉ. ઉત્પલા ખારોડ ઉપસ્થિત રહી પોતાના માર્ગદર્શન આપશે.
આ કાર્યશાળા શિક્ષણવિદો, સંશોધકો, માતા-પિતા તેમજ સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતો માટે જ્ઞાનવર્ધક અને માર્ગદર્શક મંચ સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ