
- વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહ્વાન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ,17 એપ્રિલ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના કુહા સ્થિત સૂર્યા ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'ને સંબોધતા ભાજપાના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, પહેલા પાણી, વીજળી અને રસ્તાઓની જે સમસ્યાઓ હતી તેનું નિરાકરણ લાવી આજે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવામાં આવી છે.
રાજ્યમાં વિકાસના ખૂબ કાર્યો થયા છે અને લોકોના જીવનમાં સીધો સકારાત્મક ફેરફાર આવ્યો છે.
ઔડા વિસ્તારમાં ન આવતા ગામોને નવી અને જૂની શરતના ફેરફારોનો લાભ આપી ખેડૂતોને દાખલો મેળવવામાં પણ મોટી રાહત આપવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રદાનને ટાંકતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને દેશના વિકાસ માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 24 કલાક વીજળી આપવાનું જે ભગીરથ કાર્ય કર્યું હતું, તેની સુવાસ વિકાસરૂપે પ્રસરી છે.વર્ષ 2003માં શરૂ થયેલી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'ના અંગે તેમણે જણાવ્યું કે, ત્યારે MSME એકમોની સંખ્યા 1.83 લાખ હતી જે આજે 27 લાખને પાર કરી ગઈ છે.
રોજગારીના મુદ્દે વિપક્ષોને આડેહાથ લેતા તેમણે સ્પષ્ટ કર્યું કે આજે આખા દેશમાં સૌથી વધુ નોકરીઓ આપતું રાજ્ય ગુજરાત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયોની ચર્ચા કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નારી વંદના અધિનિયમ દ્વારા હવે લોકસભા અને વિધાનસભામાં 33 ટકા બહેનોને પ્રતિનિધિત્વની તક મળશે. આ સાથે જ વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના 'આયુષ્માન કાર્ડ' અંતર્ગત ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી રહી છે.
આ પ્રસંગે કોંગ્રેસના બે આગેવાનો પ્રવિણકુમાર ચૌહાણ અને તરંગ પટેલ 150 થી વધુ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા જેઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાજપાનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બીનહરિફ ચૂંટાયેલા 1 જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતના ઉમેદવારોનું અભિવાદન કર્યું હતું. ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરો અને નાગરિકોને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ શૈલેષ દાવડા, ધારાસભ્યઓ, જિલ્લા ભાજપા સંગઠનનાં પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ, સમર્થકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ