
પાટણ, 02 એપ્રિલ (હિ.સ.) શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે 1 એપ્રિલ 2026ના રોજ સવારે આશરે 5:30 વાગ્યે 60 વર્ષીય વૃદ્ધ ગણેશ તેજાભાઈ ખેર પર જીવલેણ હુમલો થયો હતો. તેઓ હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે વશા લાધુભાઈ ખેરે પૂર્વ આયોજન મુજબ ધોકા વડે હુમલો કર્યો.
હુમલાખોરે ગણેશભાઈના માથા અને પગના ભાગે ગંભીર ઘા માર્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં મંદિર પાસે ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતા તેમના પુત્ર જયેશકુમાર અને અન્ય લોકો તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા.
ગણેશભાઈને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યા પાછળ આશરે 35 વર્ષ જૂનો જમીન વિવાદ જવાબદાર છે. જમીન વેચાણ દરમિયાન થયેલી ભૂલને કારણે માલિકીના મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.શંખેશ્વર પોલીસે આ મામલે BNS કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ