
જામનગર, 21 એપ્રિલ (હિ.સ.) : શેર બજારમાં લાખો રૂપિયા ડૂબી ગયા બાદ સતત ચિંતામાં રહેતા એક યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. 6 માસના ટૂંકા ગાળામાં રૂ.25 લાખ જેવી મોટી રકમ ગુમાવ્યા બાદ યુવાને ઝેરી દવા પી જીવનલીલા સંકેલી લેતા સિટી બી ડિવિજન પોલીસે મોતની નોંધ કરી કાર્યવાહી અગાળ ધપાવી છે.
શહેરના રાજપાર્ક વિસ્તારમાં આવેલી ડિવાઇન હોસ્પિટલ પાછળ રહેતા દેવાંગભાઇ પ્રવીણભાઇ પોપટ નામના 35 વર્ષીય યુવાને તા.07 એપ્રિલના રોજ સાંજના સાડા ચાર વાગ્યના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો.
જે મામલે પરીજનોને જાણ થતા જ યુવાનને તત્કાલીક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, લાંબી સારવાર કારગત ન નિવડતા દેવાંગભાઇનું મોત નીપજ્યું હતું.
આ અંગે મૃતકના પત્ની દિવ્યાબેન પોપટે પોલીસમાં જાણ કરતા પોલીસે દોડી જઇ નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, દેવાંગભાઇ અંદાજે છેલ્લા 6 મહીનાથી શેર બજારમાં ટ્રેડીંગ કરતા હતા. જેમા આશરે 25 લાખ જેટલુ મોટું નુકસાન થયું હોવાથી તે સતત ચિંતામાં રહેતા હતા અને અંતે તા.07/04 ના રોજ પોતે પોતાના ઘરે આ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે યુવાનના મોતની નોંધ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt