




- પોલીસ વયોવૃદ્ધ અને દિવ્યાંગો માટે બની 'સારથી'
-મતદાર મતદાનથી વંચિત ન રહે માટે પોલીસની સેવા સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે
-સકારાત્મક પ્રસંગો લોકોમાં વિશ્વાસ વધારતા હોય છે અને લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ વધુ મજબૂત બનાવે છે
ભરૂચ 26 એપ્રિલ (હિ.સ.) અંકલેશ્વર ખાતે લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીના માહોલમાં મતદારોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ ગૌરવવંતા પર્વમાં લોકશાહીના મૂલ્યો જળવાઈ રહે અને કોઈ પણ નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે અંકલેશ્વર પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી હાલ નગરજનોમાં ચર્ચા અને પ્રશંસાનું કેન્દ્ર બની છે.
સામાન્ય રીતે પોલીસની છબી કાયદો અને વ્યવસ્થા જાળવનાર તરીકેની હોય છે, પરંતુ ચૂંટણીના દિવસે પોલીસકર્મીઓએ માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મતદાન મથકો પર પહોંચવા માટે અશક્ત, વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને પોલીસ જવાનોએ ખડેપગે રહીને સહાય કરી હતી. જે મતદારો પોતાની રીતે મતદાન મથક સુધી પહોંચવા માટે અસમર્થ હતા, તેમને પોલીસ દ્વારા હૂંફ અને ટેકો પૂરો પાડી મતદાન કરાવવામાં આવ્યું હતું.
સ્થાનિક લોકોમાં પણ પોલીસની આ કામગીરીને લઈ ભારે પ્રશંસા જોવા મળી રહી છે. નાગરિકોનું માનવું છે કે, લોકશાહીના આ પર્વમાં દરેક મતદારનું મહત્વ છે, અને કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે તે માટે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ નિષ્ઠાવાન સેવા ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
પોલીસની આ ભૂમિકા ખરેખર બિરદાવવા લાયક છે. આવા સકારાત્મક પ્રસંગો લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારતા હોય છે અને લોકશાહીના પર્વ પ્રત્યેનો ઉત્સાહ વધુ મજબૂત બનાવે છે. ચૂંટણી ફરજની સાથે સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ માનવીય કામગીરી નગરભરમાં સંતોષની લાગણી જન્માવી ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ