


પોરબંદર, 07 એપ્રિલ (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા જ આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન ન થાય તે માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં લગાવવામાં આવેલા બેનર, હોર્ડિંગ્સ અને રાજકીય પ્રચાર સામગ્રીને દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ઉપરાંત, આચારસંહિતાનું પાલન સુનિશ્ચિત થઈ શકે તે માટે જાહેર તથા ખાનગી મિલકતોની દીવાલો પર કરવામાં આવેલા ચિત્રો, સૂત્રો અને લખાણોને પણ સાફ કરવામાં આવી રહ્યા છે, આ કામગીરી માટે મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમોને અલગ-અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
આ સાથે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વયં પ્રેરિત બની આચારસંહિતાનું પાલન કરે અને શહેરમાં સ્વચ્છ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા આચારસંહિતાની ચુસ્ત અમલવારી થકી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya