
મહેસાણા, 08 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મંદિર ચોરીના ગુનામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસ દ્વારા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માહિતી અનુસાર, 4 એપ્રિલ 2026ના રોજ મહેસાણા શહેરની રાધે એક્ઝોટિકા સોસાયટી બહાર આવેલ જોગણી માતાજીના મંદિરમાંથી અજાણ્યા ઈસમ દ્વારા ચાંદીના છત્તર ચોરી કરવામાં આવ્યા હતા. આ મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(3) અને 305 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સના આધારે તપાસ કરતા શંકાસ્પદ એક્ટીવા (GJ-02-CH-6360) સુધી પહોંચી આરોપી રાજુભાઈ ગોપાલભાઈ માંગીરામ શાહ (ઉ.વ.57), હાલ રહે. અનુપમ સોસાયટી, મહેસાણા (મૂળ રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી 17 ચાંદીના છત્તર (વજન 77.450 ગ્રામ, કિંમત રૂ. 8,660) તેમજ ગુનામાં વપરાયેલ એક્ટીવા (કિંમત રૂ. 25,000) કબ્જે કરી છે. આરોપી મંદિર ખાતે દર્શનના બહાને જઈ ચોરી કરતો હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR