
મહેસાણા, 08 એપ્રિલ (હિ.સ.) : ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને માવઠાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ પરિસ્થિતિમાં ખેતી ક્ષેત્ર પર સૌથી વધુ અસર જોવા મળી છે. ખાસ કરીને એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે ઓળખાતા ઊંઝા APMC માર્કેટ યાર્ડમાં પોતાની જણસી વેચવા આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.
માવઠાને કારણે જીરું, વરિયાળી અને રાયડા જેવી કિંમતી પાકો પલળી ન જાય તેની ચિંતા વચ્ચે ઘણા ખેડૂતો યાર્ડમાં જ અટવાઈ ગયા હતા. પરત ગામે જઈ શકતા ન હોવાથી તેમને રાત્રી રોકાણ કરવાની ફરજ પડી હતી. આવી કપરી પરિસ્થિતિમાં ઊંઝા APMC દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. APMC ના ચેરમેન દિનેશભાઈ પટેલ અને તેમની ટીમે તાત્કાલિક પગલાં લઈ અંદાજે 1500 ખેડૂતો માટે રહેવા અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ઉભી કરી હતી. ચેરમેન ખુદ સ્થળ પર હાજર રહી તમામ વ્યવસ્થાની દેખરેખ રાખતા જોવા મળ્યા હતા.
આ સેવાભાવી પહેલથી ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી ફેલાઈ હતી. મુશ્કેલીના સમયે મળેલી આ સહાય માટે ખેડૂતો દ્વારા APMC તંત્રની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR