
ભાવનગર, 08 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો ૨૦૨૬’ને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે એક મહત્વપૂર્ણ ટેકનિકલ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર, બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસભાઇ દોશી, વિભાગના સ્ટાફ તેમજ સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
પ્રેઝન્ટેશન દરમિયાન શહેરમાં કચરા વ્યવસ્થાપનને વધુ સશક્ત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ઘરઆંગણે કચરાનું વિભાજન, દરવાજે-દરવાજે કચરા સંગ્રહ વ્યવસ્થા, રિસાયક્લિંગ પ્રક્રિયા અને વૈજ્ઞાનિક રીતે કચરાનો નિકાલ કરવા માટેની યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે નાગરિકોની ભાગીદારી અત્યંત જરૂરી છે. ડૉ. તેજસભાઇ દોશીએ પણ જાગૃતિ અભિયાનને વધુ ગતિ આપવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો અને લોકોમાં કચરા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવાની સૂચનાઓ આપી હતી.આ બેઠકમાં ગ્રાઉન્ડ લેવલ પર તાત્કાલિક અમલમાં મુકવાના પગલાંઓ અંગે પણ ચર્ચા થઈ હતી. જેમાં કચરા સંગ્રહ માટે આધુનિક સાધનોનો ઉપયોગ, સ્ટાફની કામગીરીમાં સુધારો, અને કચરાના યોગ્ય નિકાલ માટે નવી ટેકનિકનો ઉપયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ પ્રકારના આયોજનથી ભાવનગર શહેરમાં સ્વચ્છતા અભિયાનને નવી દિશા મળશે અને ‘સ્વચ્છ શહેર’ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સહાય મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT