
અમરેલી,01 મે (હિ.સ.) સામાન્ય રીતે ગ્રામ્ય પરંપરાગત માન્યતાઓ મુજબ Red-wattled lapwing (ટીટોડી) પોતાના ઈંડા જ્યાં મૂકે છે તે પરથી વરસાદનો અંદાજ લગાવવામાં આવે છે. કહેવાય છે કે જો ટીટોડી ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો સારો વરસાદ થાય છે, જ્યારે નીચાણવાળા અથવા જમીન સમતલ સ્થળે ઈંડા મૂકે તો ઓછા વરસાદના સંકેતો માનવામાં આવે છે.
સાવરકુંડલા ખાતે આવેલ જનતા બાગ વિસ્તારમાં હાલમાં ટીટોડીયા દ્વારા જમીન પર ઈંડા મૂકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે ટીટોડી પોતાના ઈંડાને એવી રીતે મૂકે છે કે વરસાદી પાણીથી તે સુરક્ષિત રહે. લોકમાન્યતા મુજબ ટીટોડીના ઈંડાને વરસાદ ક્યારેય તાણી જતો નથી, તેથી પક્ષી દ્વારા પસંદ કરાયેલ સ્થાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે આ વર્ષે વરસાદ ઓછો રહેવાની શક્યતા હોઈ શકે. જોકે, આ માત્ર પરંપરાગત માન્યતા પર આધારિત અનુમાન છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેનું કોઈ સચોટ પ્રમાણ નથી.
હવે આવનારા દિવસોમાં ખરેખર કેટલો અને કેવો વરસાદ થાય છે તે જોવાનું રહેશે, પરંતુ ટીટોડીના આ વર્તનથી ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર વરસાદ અંગે ચર્ચા તેજ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai