


- ઈંધણ અને આર્થિક બચત માટે હેલિકોપ્ટર-પ્લેનનો ત્યાગ કરી જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો રાજ્યપાલનો મક્કમ નિર્ધાર
અમદાવાદ, 13 મે (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ‘આર્થિક આત્મરક્ષા’ નો મંત્ર આપતા સાત અપીલો કરી હતી, જેને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. રાજ્યપાલએ રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીને બદલે ટ્રેન, એસ.ટી. બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યપાલએ કુરુક્ષેત્ર જવા માટે આજે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી નવી દિલ્હી સુધી ટ્રેન દ્વારા મુસાફરી માટે પ્રસ્થાન કર્યું હતું. ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય પહેલા રાજ્યપાલ અને લેડી ગવર્નર દર્શના દેવીજી સાબરમતી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
રાજ્યના પ્રથમ નાગરિકને સામાન્ય મુસાફરની જેમ રેલવે સ્ટેશન પર જોઈને અન્ય મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ રાજ્યપાલ અને લેડી ગવર્નરનું સ્વાગત કર્યું હતું. આ અવસરે રાજ્યપાલએ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરિક્ષણ પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી સાત અપીલોને માન આપીને રાજ્યપાલએ જાહેર કર્યું હતું કે જ્યાં સુધી પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ મોંઘી હવાઈ મુસાફરી ટાળશે.
રાજ્યપાલનો આ નિર્ણય વહીવટી તંત્ર અને નાગરિકો માટે 'રાષ્ટ્ર પ્રથમ' અને 'મિતવ્યયી' જીવનશૈલીનો પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ