
મહેસાણા,04 મે (હિ.સ.) મહેસાણા જિલ્લાના પાલજ ગામે આવેલ શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે આજે ભવ્યાતિભવ્ય ૨૫મા રજત જયંતિ મહોત્સવની ઉજવણી ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાભેર માહોલમાં યોજાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહી આશીર્વાદ લીધા હતા અને મહોત્સવની ભવ્યતા વધારી હતી.
મહોત્સવ દરમિયાન વિશાળ પૂજા-અર્ચના, યજ્ઞ, ભજન-કીર્તન અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો અને ભક્તિનો અનોખો આનંદ અનુભવાયો હતો.
ધારાસભ્ય મુકેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ઉમિયા માતાજી પરંપરા, સંસ્કૃતિ અને સમાજને એકતા તરફ દોરી જતી શક્તિ છે. આવા મહોત્સવો સમાજમાં આધ્યાત્મિકતા સાથે સંસ્કાર અને સહકારની ભાવનાને મજબૂત બનાવે છે.
આ પ્રસંગે ગામના આગેવાનો, ધાર્મિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન સફળ બનાવવા માટે સ્થાનિક યુવાનો અને ટ્રસ્ટના સભ્યોએ ભારે મહેનત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR