
મહેસાણા, 04 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વડનગર સિવિલ હોસ્પિટલ માં બનેલી આત્મહત્યાની ઘટનાએ હવે નવો અને ચોંકાવનારો વળાંક લીધો છે. ગઈકાલે હોસ્પિટલના ચોથા માળેથી કૂદી જીવન ટૂંકાવનાર ગીરીશ પરમારની સુસાઈડ નોટ પોલીસને મળી આવી છે, જેમાં લખાયેલા ખુલાસાઓએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
પ્રારંભિક રીતે આત્મહત્યા તરીકે નોંધાયેલો આ બનાવ હવે ગંભીર ગુનામાં ફેરવાયો છે. સુસાઈડ નોટમાં ગીરીશ પરમારે છ મહિના પહેલા બનેલી બે વ્યક્તિઓની હત્યામાં પોતાનો સંડોવણીનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળે છે. આ લખાણના આધારે પોલીસ હવે આ કેસને ડબલ મર્ડર સાથે જોડીને તપાસ કરી રહી છે.
પોલીસ તંત્રે સુસાઈડ નોટના હસ્તલેખ અને અન્ય પુરાવાઓની ચકાસણી શરૂ કરી છે. સાથે જ છ મહિના જૂના ગુમનામ કેસોને ફરી ખંગાળવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને અચંબાનો માહોલ ઊભો કર્યો છે.
હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR