પંચ પરિવર્તનના સંકલ્પ સાથે સંઘ આગળ વધશે : આલોક કુમાર
શિમલા, નવી દિલ્હી, 06 મે (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરકાર્યવાહ આલોક કુમારે જણાવ્યું હતું કે, સંઘ તેના શતાબ્દી વર્ષમાં “પંચ પરિવર્તન” ના પાંચ મુખ્ય વિષયો – કુટુંબ પ્રબોધન, સ્વની ભાવના, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય પર
સંગોષ્ઠી ને સંબોધન કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરકાર્યવાહ આલોક કુમાર


શિમલા, નવી દિલ્હી, 06 મે (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરકાર્યવાહ આલોક કુમારે જણાવ્યું હતું કે, સંઘ તેના શતાબ્દી વર્ષમાં “પંચ પરિવર્તન” ના પાંચ મુખ્ય વિષયો – કુટુંબ પ્રબોધન, સ્વની ભાવના, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય પર વિશેષ રૂપે કાર્ય કરશે, જેથી સમાજમાં સકારાત્મક અને સ્થાયી બદલાવ લાવી શકાય.

શિમલામાં એક સંગોષ્ઠીને સંબોધતા આલોક કુમારે કહ્યું કે, વીતેલા વર્ષોમાં દેશની પરિસ્થિતિઓમાં વ્યાપક બદલાવ આવ્યો છે. તેમણે જણાવ્યું કે, આશરે બે દાયકા પહેલા દેશના અનેક ભાગોમાં જવામાં લોકોને ડર લાગતો હતો, જ્યારે આજે સ્થિતિમાં સુધારો થયો છે. કાશ્મીરના લાલ ચોકનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, જ્યાં પહેલા કોઈ સાર્વજનિક ઉત્સવ ઉજવવો મુશ્કેલ હતો, ત્યાં હવે લોકો રાત્રે પણ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

તેમણે સંઘના ઈતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હજારો સ્વયંસેવકોએ સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો અને વિભાજન દરમિયાન વિસ્થાપિતોની સહાય માટે 3000 થી વધુ શિબિરો લગાવી હતી. તેમણે કહ્યું કે એક નાનકડા સંગઠન માટે આ ઘણું મોટું કાર્ય હતું. આ ઉપરાંત ગોવા અને હૈદરાબાદના આંદોલનોમાં પણ સંઘની ભૂમિકા રહી હતી અને દેશના વિવિધ ભાગોમાં સંગઠને સક્રિયપણે કામ કર્યું હતું.

આલોક કુમારે કહ્યું કે, સંઘ દેશની તમામ ભાષાઓને રાષ્ટ્રીય ગણે છે, જેનાથી તેને વ્યાપક સ્વીકૃતિ મળી છે. પંજાબમાં કઠિન પરિસ્થિતિઓ દરમિયાન પણ સંઘે કાર્ય કર્યું અને ‘ભારત માતા કી જય’ ને જન-જનનો નારો બનાવ્યો.

તેમણે પંચ પરિવર્તનના પાંચ વિષયો પર પ્રકાશ પાડતા કહ્યું કે, કુટુંબ પ્રબોધન અંતર્ગત પરિવારોને સશક્ત બનાવવા, સંસ્કાર આપવા અને પરંપરાઓનું પાલન સુનિશ્ચિત કરવું જરૂરી છે. “સ્વ” ની ભાવના પર ભાર મૂકતા તેમણે કહ્યું કે દેશ આજે આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે અને અનેક દેશોને અનાજ તથા વીજળી પૂરી પાડી રહ્યો છે.

પર્યાવરણ સંરક્ષણ પર તેમણે વિશેષ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, શિમલા જેવા શહેરો, જે મર્યાદિત વસ્તી માટે બન્યા હતા, તે આજે અત્યંત દબાણનો સામનો કરી રહ્યા છે. જળ સંરક્ષણની આવશ્યકતા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે નદીઓનું પ્રદૂષણ ગંભીર સમસ્યા બની ગયું છે અને નાના-નાના પ્રયાસોથી તેને સુધારી શકાય છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે આ વખતે કુંભમાં પ્લાસ્ટિકના વાસણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સામાજિક સમરસતાના વિષય પર તેમણે કહ્યું કે, જાતિના આધારે ભેદભાવ માનવતા વિરુદ્ધ છે અને સમાજમાં દરેકને સમાન દૃષ્ટિથી જોવા જોઈએ. સાથે જ નાગરિક કર્તવ્ય બોધ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના અધિકારોની સાથે-સાથે કર્તવ્યો પ્રત્યે પણ સજાગ રહેવું જોઈએ અને બીજાના અધિકારોનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે આ પાંચ વિષયો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ શુક્લા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande