
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) કૉંગ્રેસે અમેરિકા અને ઈરાન વચ્ચેના અંતરિમ શાંતિ કરારનું સ્વાગત કર્યું છે. કૉંગ્રેસે કહ્યું છે કે ભલે આ કરારની સંપૂર્ણ માહિતી હજી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૌને આશા છે કે બંને દેશો સાથે ઇઝરાયલ પણ આ અંતરિમ કરારનું પાલન કરશે.
કૉંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે સોમવારે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે, હોર્મુઝ જળડમરુમધ્યનું કોઈ પ્રતિબંધ વિના ફરી ખુલવું નિશ્ચિતરૂપે ભારત માટે મોટી રાહત લાવશે. જોકે, તેનો અર્થ એ નથી કે ભારતીય અર્થવ્યવસ્થાની સામે રહેલી ઢાંચાગત સમસ્યાઓ જલદી દૂર થઈ જશે. તેમણે કહ્યું કે આ ચિંતાઓ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ પહેલાંથી છે, જે પ્રધાનમંત્રી મોદીની ઇઝરાયલ યાત્રાના માત્ર બે દિવસ બાદ શરૂ થયું હતું.
તેમણે કહ્યું કે, રૂપિયા પર એક વર્ષથી વધુ સમયથી નોંધપાત્ર દબાણ છે અને ડોલરની માંગ અને પુરવઠા વચ્ચેનો અંતર વધતો જઈ રહ્યો છે. જીડીપી વૃદ્ધિનો સૌથી મહત્વપૂર્ણ નિર્ધારક એટલે કે ખાનગી રોકાણના દરો ઘણા વર્ષોથી સુસ્ત રહ્યા છે. તેમણે આ સુસ્તીના પાછળ ત્રણ મુખ્ય કારણ ગણાવ્યાં; પહેલું- છેલ્લા એક દાયકામાં વાસ્તવિક મજૂરીમાં સ્થિરતા આવવી. બીજું- મુખ્ય કારણ ચીનથી આયાતની ડમ્પિંગ પર રોક લગાવવામાં સરકારની નિષ્ફળતાને કારણે રેકોર્ડ વેપાર ઘાટો થયો છે અને રોજગાર સર્જન કરતા એમએસએમઈની વૃદ્ધિ જોખમમાં પડી છે. ત્રીજું- કર અધિકારીઓ અને તપાસ એજન્સીઓને આપવામાં આવેલી અનિયંત્રિત સત્તાઓને કારણે કુલ મળીને રોકાણનું વાતાવરણ ખરાબ થવું છે.
વૈશ્વિક નીતિ અને ભૂ-રાજનીતિક મોરચે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, પાકિસ્તાન, જેને નવેમ્બર 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલાઓ પછી ભારતે સફળતાપૂર્વક અલગ પાડ્યું હતું, હવે તેણે નવો પ્રાદેશિક અને વૈશ્વિક પ્રભાવ હાંસલ કર્યો છે. પાકિસ્તાનના વ્યૂહાત્મક ઢાંચામાં ચીનની ઊંડી ઘૂસણખોરીને કારણે આ સ્થિતિ ભારતની વિદેશ નીતિ માટે ગંભીર ભૂ-રાજનીતિક પડકાર બની ગઈ છે.
નોંધનીય છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચેના અંતરિમ શાંતિ કરાર બાદ બંને દેશ શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં આ કરાર પર હસ્તાક્ષર કરશે. વિદેશી મીડિયા અહેવાલ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કરારની જાહેરાત કરી. તેમણે હોર્મુઝ જળડમરુમધ્યમાં અમેરિકા ની નૌકાદળ નાકાબંધી પણ સમાપ્ત કરવાની જાહેરાત કરી. ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાજેમ ગરીબાબાદીએ કહ્યું કે, કરારના અંતિમ મુસદ્દા પર બંને પક્ષોની સંમતિ થઈ ગઈ છે. હવે લેબનાન સહિત તમામ મોરચાઓ પર યુદ્ધ સમાપ્ત થઈ જશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ