
નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની શાશ્વત અને પ્રાચીન પરંપરા છે, જે શરીર, મન અને આત્મા વચ્ચે સંપૂર્ણ સુમેળ સ્થાપિત કરે છે. યોગની ખરી શક્તિ તેની સમગ્રતામાં રહેલી છે, જે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે ભાવનાત્મક સંતુલન, માનસિક મજબૂતી અને સામાજિક જોડાણને પ્રોત્સાહન આપે છે. લોકોને નાની ઉંમરથી જ યોગ અપનાવવા માટે પ્રેરિત કરવા જોઈએ, કારણ કે જેટલી વહેલી તેની શરૂઆત કરવામાં આવે, જીવનભર તેના સંચિત લાભો એટલા જ વધારે મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા, અંગ્રેજી અખબારમાં લખાયેલો લેખ શેર કર્યો હતો. 'યોગા ફોર હેલ્ધી એજિંગ: એડિંગ લાઈફ ટુ યર્સ' શીર્ષક ધરાવતો આ લેખ શેર કરતા વડાપ્રધાને દેશવાસીઓને તે વાંચવા વિનંતી કરી હતી અને માનવ કલ્યાણ પર યોગની ઊંડી અસરની પ્રશંસા કરી હતી.
ઉપરાષ્ટ્રપતિએ લેખમાં આધુનિક શિક્ષણ અને આરોગ્ય નીતિઓનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંતોષ વ્યક્ત કરતા લખ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020 માં પણ યોગને આરોગ્ય, સુખાકારી અને મૂલ્ય આધારિત શિક્ષણના અભિન્ન અંગ તરીકે મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે, જે યુવાનોને આ પ્રાચીન પદ્ધતિ સાથે જોડવાની દિશામાં એક સકારાત્મક પગલું છે.
ઉપરાષ્ટ્રપતિએ વધતી ઉંમર સાથે આવતી શારીરિક અને માનસિક પડકારોનો સચોટ ઉકેલ આપતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તબીબી સંશોધન અને લાન્સેટ જેવી અગ્રણી પત્રિકાઓના અભ્યાસોથી સાબિત થયું છે કે, નિયમિત યોગાભ્યાસથી વરિષ્ઠ નાગરિકોમાં સંતુલન, લવચીકતા અને ગતિશીલતામાં નોંધપાત્ર સુધારો થાય છે, જેનાથી તેમના પડવાનું જોખમ અને ડર ઘણો ઓછો થઈ જાય છે. તેમણે લોકો, સમાજ અને સંસ્થાઓને યોગને માત્ર એક સામયિક કસરત તરીકે ન જોતા, તેને જીવનભરની તંદુરસ્ત જીવનશૈલી અને સાંસ્કૃતિક અભ્યાસ તરીકે અપનાવવાનું આહ્વાન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ