
જૂનાગઢ 25 જૂન (હિ.સ.) શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ અંતર્ગત આજ રોજ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાની બરવાળા પ્રાથમિક શાળા, શ્રી જી.પી. હાઈસ્કૂલ અને ગાયત્રી વિદ્યાલય ખાતે ૩૦૦ થી વધુ વિધાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતા. આ કાર્યક્રમમાં સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના ઉપસચિવ આદિત્ય આર. દેસાઈના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ અપાવી શિક્ષણના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતાં આદિત્ય દેસાઈ એ જણાવ્યુ હતુ કે તા. ૨૩થી ૨૫ દરમિયાન યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિના પ્રવેશોત્સવનો આજે અંતિમ દિવસ છે. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મેંદરડા તાલુકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં મુલાકાત લઈ અંદાજે ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવાનો અવસર મળ્યો છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ શરૂ થયેલો આ અભિયાન આજે વટવૃક્ષ સમાન બની સમગ્ર રાજ્યમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી રહ્યો છે. સાથે જ તેમણે શિક્ષકો અને વાલીઓને ડ્રોપઆઉટ દર શૂન્ય તરફ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.
જી.પી. હાઈસ્કૂલ ખાતે પાપા પગલી કાર્યક્રમ અંતર્ગત ૬ બાળકો તથા બાલવાટિકામાં ૩ બાળકોને પ્રવેશ અપાયો હતો. ઉપરાંત ધોરણ-૯માં કુલ ૮૪ અને ધોરણ-૧૧માં કુલ ૬૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરી તેમના શૈક્ષણિક જીવનની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે ધોરણ-૧૦ની વિદ્યાર્થીની પૈડા મહેક દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. શાળાના શિક્ષકો દ્વારા શાળાની શૈક્ષણિક અને સહશૈક્ષણિક સિદ્ધિઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાની ઊંચી કૂદ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થી રાઠોડ સમીર તેમજ સો ટકા હાજરી નોંધાવનાર વૈષ્ણવ પ્રાંજલ અને ગીડા નિધિનું મહેમાનોના હસ્તે સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શાળાના શિક્ષિકા શ્રીમતી માનસી ડાભી દ્વારા મુખ્યમંત્રીનો શુભેચ્છા સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ટ્રાફિક સલામતી અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ગાયત્રી વિનય મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ ખાતે કાર્યક્રમમાં નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એ.પી. વાણવી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રણવીરસિંહ પરમાર, સી.આર.સી. કો-ઓર્ડિનેટર પારસભાઈ ગોંડલિયા, શ્રીમતી રેખાબેન ઉંધાડ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, સરપંચ જે.ડી. ખાવડુ, આચાર્ય એમ.એમ. કથીરિયા, આચાર્ય ભીખાભાઈ પરમાર સહિત આગેવાનો, શાળાના કર્મચારીઓ, તેમજ આંગણવાડીના કર્મચારી તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
બરવાળા પ્રાથમિક શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકાના કુલ ૫ બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આચાર્ય નિકુંજભાઈ વેકરિયા, જિલ્લા પંચાયત સદસ્ય ચિરાગભાઈ રાજાણી, સરપંચ ગોકળભાઈ રાખોલિયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ