
નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ આફ્રિકન દેશ સેશેલ્સ જવા માટે શનિવારે દિલ્હીથી રવાના થયા હતા. તેઓ આ દેશની ત્રણ દિવસીય (27-29 જૂન) રાજકીય મુલાકાતે છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીની સેશેલ્સ મુલાકાત રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર થઈ રહી છે. સેશેલ્સ તેના રાષ્ટ્રીય દિવસની સુવર્ણ જયંતી (50મી વર્ષગાંઠ)ની ઉજવણી કરી રહ્યું છે, જેમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. વડાપ્રધાન મોદી આ પહેલા વર્ષ 2015માં સેશેલ્સ ગયા હતા.
મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી, સેશેલ્સના રાષ્ટ્રપતિ હર્મિની સાથે બેઠક કરશે. બંને નેતાઓ ભારત-સેશેલ્સ વચ્ચેના સહયોગના તમામ ક્ષેત્રોની સમીક્ષા કરશે અને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે.
આ દરમિયાન વડાપ્રધાન મોદી, સેશેલ્સની નેશનલ એસેમ્બલીને પણ સંબોધિત કરશે. આ સભાને સંબોધિત કરનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન પણ બનશે. તેઓ ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકોને મળશે. આ મુલાકાત ભારત અને સેશેલ્સ વચ્ચેની મજબૂત મિત્રતા, દરિયાઈ સહયોગ અને પરસ્પર ભાગીદારીને નવી મજબૂતી આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, રવાના થતાં પહેલાં વડાપ્રધાન મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સેશેલ્સ આપણો એક મહત્વપૂર્ણ દરિયાઈ પાડોશી દેશ છે અને આપણા વિઝન મહાસાગર તથા વૈશ્વિક દક્ષિણ પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતામાં એક મુખ્ય ભાગીદાર છે. આ વર્ષે આપણે આપણા રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠ પણ ઉજવી રહ્યા છીએ, જે પરસ્પર વિશ્વાસ, સહિયારા લોકશાહી મૂલ્યો, વિવિધતા પ્રત્યે આદર અને આપણા લોકો વચ્ચેના ઊંડા આત્મીય સંબંધો પર આધારિત છે.
તેમણે જણાવ્યું કે, ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રપતિ હર્મિનીની ભારતની સફળ રાજકીય મુલાકાતના આધારે, હું આપણી ચિરંજીવી મિત્રતાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે થનારી આપણી ચર્ચાઓ માટે ઉત્સુક છું. આપણે સાથે મળીને આપણા દેશોના લોકોની પ્રગતિને આગળ વધારવા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કામ કરીશું. આ મુલાકાત દરમિયાન, મને સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું ગૌરવ પ્રાપ્ત થશે. આ ઐતિહાસિક અવસર આપણા બંને દેશોને જોડતા મજબૂત લોકશાહી મૂલ્યો અને સંસદીય પરંપરાઓને દર્શાવે છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, તેઓ સેશેલ્સમાં રહેતા જીવંત ભારતીય સમુદાય સાથે વાતચીત કરવા માટે પણ ઉત્સુક છે, જેઓ પેઢીઓથી ભારત-સેશેલ્સ વચ્ચેની વિશેષ મિત્રતાને પોષી રહ્યા છે અને આપણા બંને દેશો વચ્ચે એક જીવંત સેતુ તરીકે કામ કરી રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે, તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચેના લાંબા સમયથી ચાલ્યા આવતા સંબંધોને વધુ ગાઢ બનાવશે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સહયોગને વધારશે અને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ હિંદ મહાસાગર ક્ષેત્રના આપણા સહિયારા વિઝનને આગળ ધપાવશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ