
મહેસાણા, 28 જૂન (હિ.સ.) વિજાપુર તાલુકામાં 28 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન પલ્સ પોલિયો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાન દરમિયાન તાલુકાના 0થી 5 વર્ષના તમામ બાળકો સુધી પહોંચી તેમને પોલિયોની રસી પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
અભિયાનના ભાગરૂપે આગલોડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમારના હસ્તે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, વિજાપુર તાલુકામાં અભિયાનને સફળ બનાવવા માટે 130 પોલિયો બુથ, 2 ટ્રાન્ઝિટ બુથ અને 9 મોબાઈલ ટીમો કાર્યરત રહેશે. આ ટીમો દ્વારા બુથ ઉપરાંત જરૂરિયાત મુજબ વિવિધ સ્થળોએ અને ઘરેઘરે જઈ બાળકોને પોલિયોની રસી પીવડાવવાની કામગીરી કરવામાં આવશે.
આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે, તેઓ પોતાના 0થી 5 વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોની રસી અચૂક પીવડાવે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલિયો સામેનું રક્ષણ માત્ર સમયસર રસીકરણથી જ શક્ય છે. દરેક બાળક સુધી રસી પહોંચે તે માટે વાલીઓ અને સમાજના સહયોગની જરૂર છે. બાળ લકવા નાબૂદીના રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવવા દરેક નાગરિકે સક્રિય સહભાગી બનવું જોઈએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR