


ગાંધીનગર, 19 જુલાઈ (હિ.સ.) : ભગવાનશ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને માતા સુભદ્રાજીના દિવ્ય આશીર્વાદ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને દરેક વ્યક્તિને ભગવાનના દર્શન કરવાનો સુલભ અવસર મળે તેવા પવિત્ર સંકલ્પ સાથે, ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા સમગ્ર ગુજરાતના 18 વિવિધ સ્થળોએ શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને માતા સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા આયોજીત ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત કાનમ પાર્ટી પ્લોટથી થઈ હતી જે ગાંધીનગરના સહજાનંદ સીટી, સરદાર ચોક, ક્રિસ્ટલ રાધે, રિલાયન્સ સર્કલ,દેવર્ષી સોસાયટી, ઉમિયા બંગ્લોઝ, પાણીની ટાંકી થઈ કાનમ પાર્ટી પ્લોટ પરત ફરી હતી. આ પ્રસંગે ગાંધીનગરના એમએલએ રીટાબેન પટેલ અને મીરાબેન તેમજ ગાંધીનગર ભાજપના કન્વીનર હેમરાજ પડાલીયા ઉપસ્થિત રહ્યા હતાં.
ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનશ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને માતા સુભદ્રાજીના દિવ્ય દર્શન સમાજના દરેક લોકો સુધી પહોંચે તે હેતુથી ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાનની રથયાત્રાનું આયોજન સમગ્ર ગુજરાતના 18 સ્થળોએ કરવામાં આવ્યું, ભગવાનના સુશોભિત રથના દર્શન માટે તમામ સ્થળોએ મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક રહેવાસીઓ ઉમટી પડ્યા હતા. રથયાત્રાના માર્ગોમાં પુષ્પવર્ષા કરીને ભગવાનનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ સ્થળોએ હરે કૃષ્ણ મહામંત્રના ગુંજતા સંકીર્તન, મૃદંગ અને કરતાલના મધુર નાદ તથા ભક્તોના આનંદમય નૃત્યથી સમગ્ર વાતાવરણ ભક્તિરસથી ઓતપ્રોત બની ગયું હતું. આ રથયાત્રામાં યુવાનો, મહિલાઓ, વડીલો અને બાળકો સહિત સમાજના વિવિધ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક રથયાત્રામાં ભાગ લીધો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર રથયાત્રા દરમિયાન ભગવાનનો મહાપ્રસાદ ભક્તો, સ્થાનિક રહેવાસીઓ અને માર્ગમાં ઉપસ્થિત સૌને વિતરિત કરવામાં આવ્યો હતો. શ્રીલ પ્રભુપાદ સમજાવતા હતા કે કૃષ્ણપ્રસાદ એ ભગવાનની કૃપાનું સાક્ષાત્ સ્વરૂપ છે. મહાપ્રસાદનું સન્માનપૂર્વક સેવન કરવાથી હૃદય શુદ્ધ બને છે અને ભગવાન પ્રત્યેની ભક્તિ સ્વાભાવિક રીતે વિકસે છે. ગાંધીનગરમાં યોજાયેલી આ ભવ્ય રથયાત્રાએ ભારતની સમૃદ્ધ વૈદિક સંસ્કૃતિ, ભક્તિ, શાંતિ, કરુણા અને વિશ્વબંધુત્વનો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો તથા ઉપસ્થિત સૌના હૃદયમાં ભગવાન શ્રી જગન્નાથજી પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિને વધુ દૃઢ બનાવી.
ઇસ્કોનના સ્થાપક-આચાર્યપરમ પૂજ્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદએ, જગન્નાથ રથયાત્રાને ભગવાનની અપરંપાર કરુણાનું જીવંત પ્રતીક ગણાવ્યું છે. તેઓ સમજાવતા હતા કે, ભગવાન શ્રી જગન્નાથજી મંદિરની બહાર આવી દરેક જીવાત્માને પોતાના આશીર્વાદ આપે છે અને હરિનામ સંકીર્તન, ભક્તિ તથા મહાપ્રસાદ દ્વારા શ્રીકૃષ્ણ સાથેના પોતાના શાશ્વત સંબંધને પુનર્જાગૃત કરવાની પ્રેરણા આપે છે. શ્રીલ પ્રભુપાદના આ દિવ્ય સંકલ્પને અનુસરી આજે વિશ્વભરમાં ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે, જે લાખો લોકોને આધ્યાત્મિક જીવન તરફ પ્રેરિત કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ