
જમ્મુ, નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રાતભર થયેલા ભારે વરસાદને કારણે અચાનક આવેલા પૂરથી રવિવારે ભારે તબાહી મચાવી દીધી છે. જેનાથી જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું, ઘણી ગાડીઓ તણાઈ ગઈ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. રાહત દળે પૂરના પાણીમાં, ગુમ થયેલી એક મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો છે. જાનમાલના વધુ નુકસાનની આશંકા છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને પડોશી રિયાસી જિલ્લામાં શ્રી શિવ ખોરી યાત્રા રોકી દેવામાં આવી.
રાતભર થયેલા ભારે વરસાદને કારણે, નદીઓ અને નાળાઓના જળસ્તરમાં અચાનક વધારો થયો, જેનાથી રાજૌરી શહેરમાંથી વહેતી દરહાલી નદી ભયજનક સપાટીથી ઉપર વહેવા લાગી અને રહેણાંક તેમજ વ્યાપારી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું કે, અચાનક આવેલા પૂરથી બેલામાં તાજેતરમાં બનેલા બસ સ્ટેન્ડને ભારે નુકસાન થયું, જ્યાં ઊભેલી ઘણી ગાડીઓ પ્રવાહમાં તણાઈ ગઈ. નગરપાલિકાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ઘણી રહેણાંક અને વ્યાપારી ઇમારતોને પણ નુકસાન થયું છે.
અધિકારીઓએ જણાવ્યું કે, અચાનક આવેલા પૂરમાં ગુમ થયેલી એક મહિલાનો મૃતદેહ, બચાવ અભિયાન દરમિયાન શોધી કાઢવામાં આવ્યો. જિલ્લા પ્રશાસને બચાવ અને રાહત અભિયાન શરૂ કરીને જોખમી વિસ્તારોમાં રહેતા ડઝનબંધ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા. સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજૌરી અને રિયાસી જિલ્લાઓમાં 100 મિમીથી વધુ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં જમ્મુ ક્ષેત્રમાં ભારેથી અતિભારે વરસાદ અને કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ થવાનો અંદાજ લગાવ્યો છે.
આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું કે, તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી અને રાજૌરી તથા પૂંછમાં પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો. એક્સ પોસ્ટમાં ઉપરાજ્યપાલે કહ્યું, મેં વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી અને સતત વરસાદ તથા અચાનક આવેલા પૂરથી પ્રભાવિત રાજૌરી અને પૂંછમાં પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે, રાજૌરીમાં નાગરિક પ્રશાસન, પોલીસ, સેના, એસડીઆરએફ, સ્થાનિક સ્વયંસેવકોની બચાવ ટીમો જમીની સ્તરે સક્રિયપણે કામ કરી રહી છે. પ્રભાવિત પરિવારોને પહેલાથી જ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તમામ વિભાગો હાઈ એલર્ટ પર છે અને તેઓ તાત્કાલિક રાહત તથા સમારકામના કામને પ્રાથમિકતા આપી રહ્યા છે.
તેમના એક્સ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજૌરી અને પૂંછના હવેલી અને સુરનકોટ વિસ્તારોમાં થયેલા મૃત્યુથી મને ઊંડો દુઃખ થયો છે. મારી સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે. ભારે વરસાદથી રાજૌરી અને પૂંછમાં ઘણા ઘરોને પણ નુકસાન થયું છે. મેં અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ બંને જિલ્લાઓમાં પ્રભાવિત તમામ પરિવારોને તરત મદદ પહોંચાડે અને એ સુનિશ્ચિત કરે કે કટોકટી ટીમો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર રહે.
આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, તેઓ રવિવાર સવારથી જ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને સ્થાનિક ધારાસભ્યો તથા નાગરિક પ્રશાસનના સતત સંપર્કમાં છે.
મુખ્યમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું, પ્રશાસનની પ્રથમ પ્રાથમિકતા કિંમતી જીવોને બચાવવાની છે. સરકાર તે પ્રભાવિત લોકોની મદદ અને સહાયતા માટે શક્ય તમામ પ્રયાસો કરશે, જેમની સંપત્તિને વરસાદ અને અચાનક આવેલા પૂરને કારણે નુકસાન થયું છે.
મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું કે, તેઓ દિલ્હીનો પોતાનો પ્રવાસ ટૂંકાવીને જમ્મુ પરત ફરશે જેથી પરિસ્થિતિ પર વ્યક્તિગત રીતે નજર રાખી શકે.
તેમણે એક્સ પર એક અન્ય પોસ્ટમાં કહ્યું કે, હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ચેતવણી અને જમ્મુ ડિવિઝનના કેટલાક ભાગોમાં સર્જાઈ રહેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું આજે બપોરે દિલ્હીથી જમ્મુ માટે ઉડાન ભરીશ જેથી જમીની પરિસ્થિતિ પર વ્યક્તિગત રીતે નજર રાખી શકું. રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો વિરોધ પ્રદર્શન યોજના અનુસાર અધ્યક્ષ ડો. ફારૂક અબ્દુલ્લાના નેતૃત્વમાં ચાલુ રહેશે.
આ દરમિયાન, જમ્મુના ડિવિઝનલ કમિશનરે ભારત હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી અને મંદિરના બેઝ કેમ્પ, રાનસૂમાં ખરાબ હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિયાસી જિલ્લામાં શ્રી શિવ ખોરી યાત્રાને અસ્થાયી રૂપે રોકવાનો આદેશ આપ્યો.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ