
ગીર સોમનાથ, 27 જુલાઈ (હિ.સ.) : પ્રભારી મંત્રી પરસોત્તમ સોલંકીની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની મંજૂરી આપવા માટે તેમજ જિલ્લાના ભાવિ વિકાસનો રોડમેપ તૈયાર કરવા માટે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. જિલ્લામાં પ્રગતિમાં રહેલા અને આગામી સમયમાં હાથ ધરાનાર વિકાસકાર્યો માટે જરૂરી ફંડ ઉપલબ્ધ થાય અને વિકાસકાર્યોની ગતિ તેજ બને તે માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ બેઠકમાં વિવિધ આયોજન હેઠળ રહેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો અને મંત્રીની ઉપસ્થિતિમાં તાલુકા આયોજન સમિતિના રુ.૯.૨૨ કરોડના ૩૫૨ કામો અને નગરપાલિકાના રૂ. ૩.૩૩ કરોડના ૩૩ કામો મંજૂર કરવામાં આવ્યા હતાં.
પ્રભારી મંત્રી પરસોત્તમ સોલંકીએ ગ્રાન્ટની મર્યાદામાં વહીવટી મંજૂરી સમયસર મળી જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું તેમજ માર્ગદર્શિકા સાથે સુસંગત હોય તેવા તાલુકા-જિલ્લાકક્ષાના કામો અને વિવિધ ગ્રાન્ટ અને જોગવાઈઓ હેઠળ અગાઉ મંજૂર થયેલ પૈકી પ્રગતિ હેઠળના કામો અને શરૂ ન થયેલા કામો સત્વરે પૂર્ણ થાય તે અંગે ઉપયોગી માર્ગદર્શન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી કામો અંતર્ગત ૧૫% વિવેકાધિન અ.જા.પે.યો. જોગવાઈ અંતર્ગત રૂ.૧૯ લાખ, ૧૫% વિવેકાધિન સામાન્ય જોગવાઈ અંતર્ગત તાલાલા તાલુકાની રુ. ૧.૩૭ કરોડ, સૂત્રાપાડા તાલુકાની રૂ. ૧.૩૦ કરોડ, ઉના તાલુકાની રૂ.૧.૭૮ કરોડ, ગીરગઢડા તાલુકાના રુ.૧.૮૨ કરોડના વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યાં હતાં.
વધુમાં, ખાસ પ્લાન યોજના અંતર્ગત વેરાવળ, સૂત્રાપાડા, ઉના અને તાલાલાના રૂ. ૨૦ લાખના કામો અને MPLADS અંતર્ગત અમલીકરણ જિલ્લા તરીકે ગીર સોમનાથમાં ૨૬૫ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત ૧૭૯ કામ પૂર્ણ થયા છે અને ૫૩ કામ પ્રગતિ હેઠળ છે.
આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત સર્વે જનપ્રતિનિધિઓએ મંજૂર થયેલા અને પ્રગતિ હેઠળના વિવિધ નાગરિકલક્ષી કામો પરત્વે સૂચનો કર્યા હતાં. જેને લક્ષમાં લઈ મંત્રીએ શાળાના ઓરડાઓ, પીવાના પાણીની સુવિધા, એપ્રોચ રોડ, આંતરમાળખાકીય સુવિધાઓ સહિત વિવિધ નાગરિકલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ પ્રકારના આયોજનને લક્ષ્યમાં લઈ ગ્રામ્યકક્ષાના સંતુલિત વિકાસ માટે ખાસ ભાર આપ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી જે.કે.બગીયાએ પ્રભારી મંત્રીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ હેઠળની વર્ષ ૨૦૨૬-૨૭ની નવી દરખાસ્તો મંજૂર કરવા, ખાસ પ્લાન યોજના, નગરપાલિકા વિવેકાધિન જોગવાઈ અંતર્ગતના કોડીનાર, વેરાવળ, ઉના, સૂત્રાપાડા, તાલાળા અને ગીરગઢડા વિસ્તારના વિવિધ કામો, ૧૫% વિવેકાધીન જોગવાઈ (જિલ્લા તથા તાલુકા કક્ષા), ૧૫% વિવેકાધીન જોગવાઈ અ.જા.પે.યો તેમજ ખૂટતું આયોજન, કામ ફેરફાર, હેતુ ફેરફાર અને સ્થળ ફેરફાર સહિત વિવિધ કામોથી અવગત કરાવ્યા હતાં.
કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ પ્રગતિ હેઠળના કામો સત્વરે પૂર્ણ થાય એ દિશામાં કામ કરવા, ગ્રામ પંચાયતોને ફાળવેલી ગ્રાન્ટના વપરાશ, રિવાઈઝ કરવાના થતાં કામો સહિતના મુદ્દાઓની ચર્ચા કરી જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના સુનિયોજીત સંકલનથી જનહિતલક્ષી કામોને અગ્રતા આપી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આયોજન અંતર્ગતના વિકાસલક્ષી કામોમાં સ્ટ્રીટ લાઈટ, ગટર, સી.સી.રોડ, પેવરબ્લોકના કામ, એપ્રોચ રોડ, ડામર રોડ, ટીપર વાહન ખરીદી, સ્મશાન ફરતે કમ્પાઉન્ડ વોલ, આર.ઓ.પ્લાન્ટ, નાળા-પુલિયા, સહિત પ્રાથમિક શિક્ષણ, ગંદા વસવાટ સુધારણા, આરોગ્ય, પાણી પુરવઠા, સ્થાનિક વિકાસના કામોનો સમાવેશ કરી ગીર સોમનાથ જિલ્લાના વિકાસની ગતિને તેજ બનાવવા માટે જરુરી આયોજન હાથ ધરાયું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય સર્વ ભગવાન બારડ, વિમલ ચુડાસમા, નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ