
અમદાવાદ,28 જુલાઇ (હિ.સ.) દેશમાં NEET પેપર લીકની ઘટનાનો માંડે આજે દેશની સંસદમાં ચર્ચા ચાલી રહી છે ત્યારેે જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી BAMSની પરીક્ષાનું પેપર વ્હોટસએપ પર લીક થયાના સ્ક્રીન શોટ ફરતા થયા હતા. જામનગરમાં BAMSનું પેપર લીકના આક્ષેપ સાથે અમદાવાદ યૂથ કોંગ્રેસનો વિરોધમાં આજે અમદાવાદમાં ગુજરાત યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શહેરના ઇન્કમટેક્સ ખાતે રસ્તો રોકી શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરી છે. તેમજ જો માંગ ન સ્વીકારવામાં આવે તો આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
BAMSના પેપરના 12 સવાલ વોટ્સએપ પર ફરતા થયા
BAMSના ત્રીજા વર્ષ માટે લેવાયેલી શલ્ય તંત્ર 1 નું પેપર 20 જુલાઈમાં રોજ લેવામાં આવ્યું હતું. જો કે જે દિવસે પેપર હતું તે દિવસે જ વોટ્સએપ પર 12 સવાલ ફરતા થઈ ગયા હતા. જે પૈકીના 11 સવાલ પેપરમાં બેઠા પૂછાતા વિવાદ સર્જાયો છે. ત્યારે NEET બાદ વધુ એક પેપર લીક થયું હોવાના આક્ષેપ સાથે યૂથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ ઈન્કમટેક્સ ખાતે વિરોધ કર્યો હતો.
'પેપર લીક સરકાર નહીં ચલેગી'ના નારા લગાવી ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસે રસ્તો બંધ કરાવી દીધો હતો. 'ભાજપ હાય હાય'ના નારા લગાવી રસ્તા વચ્ચે વિરોધ નોંધાવતા ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. તેમજ 'નરેન્દ્ર મોદી વીક હે તભી તો પેપર લીક હે'ના નારા લગાવી શિક્ષણમંત્રી રાજીનામુ આપે તેવી માગ કરી હતી. જો કે વિરોધ પ્રદર્શન કરનાર તમામ કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં જંતર મંતર પર યુવાનો દ્વારા જે રીતે આંદોલન ચલાવવામાં આવ્યું તેના કારણે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું. જો કે ત્યારબાદ 20 તારીખે આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSનું પેપર લીક થાય છે. પરંતુ પેપર લીક નથી થતા આખેઆખી સરકાર લીક થઈ ગઈ છે. હવે સરકાર બદલવાનો વારો આવી ગયો છે. શિક્ષણમંત્રી પોતામાં જિલ્લામાં જ પેપરની રક્ષા ન કરી શકતા હોય તો ગુજરાતના યુવાનોની શું રક્ષા કરી શકે. જેથી શિક્ષણમંત્રીએ રજીનામું આપવું જોઈએ તેવી અમારી માંગ છે.
વધુમાં પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે, જે પેપરલીક થયું છે તેના વિરૂધ્ધમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેથી આજથી અમે લોકોએ આંદોલનની શરૂઆત કરી દીધી છે. જ્યાં સુધી શિક્ષણમંત્રી રાજીનામુ નહીં આપે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે. સરકાર લીક છે અને તેમના મંત્રીઓ ભ્રષ્ટાચારી હોવાથી અવારનવાર પેપર લીક થઈ રહ્યા છે. જેથી હવે ભાજપ સરકારને બદલવાનો સમય આવી ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ