

ભરૂચ, 28 જુલાઈ (હિ.સ.) ભરૂચ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરની વ્યસ્ત ગણાતી શ્રવણ ચોકડી બ્રિજ નીચે લાંબા સમયથી કેટલાક વાહનચાલકો દ્વારા બેફામ રીતે બાઇકો પાર્ક કરવામાં આવતી હતી. જેના કારણે ટ્રાફિકમાં અવરોધ ઉભો થતો હતો તેમજ અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમે શ્રવણ ચોકડી બ્રિજ નીચે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. કાર્યવાહી દરમિયાન જાહેર માર્ગ પર નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ક કરાયેલી તમામ બાઇકોને ડિટેઇન કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે, જાહેર માર્ગો પર મનફાવે ત્યાં પાર્કિંગ કરવાથી અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે. ટ્રાફિકને સરળ અને સુરક્ષિત રાખવા માટે આવા નિયમભંગ સામે આગામી દિવસોમાં પણ સતત કાર્યવાહી ચાલુ રહેશે. જે વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે પોતાના વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ સ્થળે જ પાર્ક કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ