
- મનપા-નગરપાલિકાના આંતરિક રસ્તા હવે સીસી રોડમાં ફેરવાશે
ગાંધીનગર,28 જુલાઇ (હિ.સ.) આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં ભારે વરસાદથી અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય આપવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીના સર્વે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને નુકસાનીનો પ્રાથમિક અંદાજ વહેલી તકે મેળવવા સંબંધિત તંત્રને સૂચના આપવામાં આવી છે.
વરસાદથી થયેલા માનવ અને પશુ મૃત્યુ અંગે કેબિનેટે શ્રદ્ધાંજલિ પાઠવી: પ્રવક્તા મંત્રી
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને થયેલા નુકસાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા માનવ અને પશુ મૃત્યુ અંગે કેબિનેટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ભારે વરસાદથી અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય આપવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે. આ માટે નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે. મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે, આ નિર્ણય માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યમાં જ્યાં જ્યાં ભારે વરસાદના કારણે નુકસાન થયું છે ત્યાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વીજ પુરવઠાની સ્થિતિ અંગે પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદ બાદ અસરગ્રસ્ત 1,997 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. વીજ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ અહેવાલ આપી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદી પરિસ્થિતિમાં ફરજ બજાવતા વીજ કર્મચારીઓની સુરક્ષા અંગે ખાસ સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને તાત્કાલિક સૂચના આપીને વીજ કર્મચારીઓને જરૂરી સેફ્ટી સાધનો ઉપલબ્ધ કરાવીને જ કામગીરી કરાવવા જણાવ્યું હતું. ફીલ્ડમાં કામ કરતા અન્ય કર્મચારીઓની સુરક્ષા માટે પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદ અને ઓવરટોપિંગના કારણે રસ્તાઓ તૂટી જવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાના આંતરિક રસ્તાઓને તબક્કાવાર સિમેન્ટ-કોંક્રિટ (સીસી) રોડમાં ફેરવવામાં આવશે. આ ઉપરાંત ગામતળ વિસ્તારમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા ધરાવતા રસ્તાઓને પણ તબક્કાવાર સીસી રોડમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવાયો છે. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ સીસી રોડનો વ્યાપ વધારવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ