
અમદાવાદ,28 જુલાઇ (હિ.સ.) અમદાવાદમાં સુભાસબ્રીજ તોડીને નવો બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગત સપ્તાહ દરમ્યાન અમદાવાદના પડેલા ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતને અમદાવાદ સાથે જોડતા અને સૌથી વ્યસ્ત ગણાતા એવા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચીમનભાઈ પટેલ બ્રિજ આવેલો છે. જે બ્રિજમાં બે જગ્યા ઉપર ફૂટપાથ પર તિરાડ પડી છે. ફૂટપાથનો કેટલોક ભાગ બહાર આવી ગયો છે. બ્રિજમાં બે સ્પાનના જોડાણની જગ્યામાં ઉપર આવેલી ફૂટપાથમાં તિરાડ પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે.
બ્રિજ ઉપર બે જગ્યાએ ફૂટપાથનો ભાગ ફાટી ગયો છે. જેમાં એક જગ્યાએ તો ભાગ ફાટી અને બહાર આવી ગયો છે. તિરાડ પડી હોવાને કારણે ફૂટપાથને પણ નુકસાન થયું છે. ચોમાસા પહેલા કરવામાં રિપોર્ટમાં ચીમનભાઈ પટેલ બ્રિજને માઈનોર રીપેરીંગની જરૂરિયાત છે. જો કે ચીમનભાઈ પટેલ બ્રિજમાં પણ વધુ એક પાંખ બનાવવા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ટ્રાફિક વધુ હોવાથી અત્યારે હાલમાં રીપેર કરવામાં આવી રહ્યું નથી.
બ્રિજ પ્રોજેક્ટ વિભાગના ઈજનેર જણાવ્યું હતું કે, જે પ્રમાણે અત્યારે બ્રિજમાં ફૂટપાથ પર તિરાડ દેખાય છે તે આગળનો ભાગ વાતાવરણના બદલાવના કારણે જોઈન્ટ પાસેથી તિરાડ પડી હોઈ શકે છે.જો કે આ મામલે અમે સ્થળ પર જઈ ખરેખર બ્રિજના સ્પાનમાં કોઈ તકલીફ છે કે કેમ તેની તપાસ કરીશું. ચીમનભાઈ પટેલ બ્રિજમાં માઈનોર રીપેરીંગ કરવા અંગેનો રિપોર્ટ આવ્યો છે. જો કે તેના માટે અત્યારે હાલમાં નવા બ્રિજની કામગીરી ચાલી રહી છે અને વધારે પડતો ટ્રાફિક હોવાથી બ્રિજ બન્યા બાદ કામગીરી કરીશું.
એક જગ્યા ઉપર આખી ફૂટપાથનો ભાગ બહાર આવી ગયો છે. સાબરમતી તરફથી બ્રિજ ચઢતા મધ્ય ભાગ સુધીમાં પહોંચતા જે ઢાળ પર સ્પાનના જોડાણ છે. ત્યાં વચ્ચેના ભાગે ફૂટપાથ ફાટી ગઈ છે અને તિરાડ પડી છે. સ્પાનમાં જોડાણમાં પણ કોઈ તકલીફ હોય તેવી શક્યતા છે. જો કે આ સમગ્ર મામલે તપાસ બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે.
RTO તરફ બ્રિજ ઉતરતા બુલેટ ટ્રેન સ્ટેશનથી થોડાક આગળના ભાગે વળાંક પાસે પણ ફૂટપાથ બહાર આવી ગઈ છે. વાતાવરણમાં બદલાવના કારણે ફૂટપાથના ભાગમાં તિરાડ પડી ગઈ હોય અને તેના કારણે થઈ બહાર આવી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બે દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે થઈને પણ ફૂટપાથનો ભાગ બહાર આવ્યો હોય તેવી શક્યતા જોવા મળી રહી છે.
જોકે બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓના મુજબ ચોમાસા પહેલા બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જે ઇન્સ્પેક્શન દરમિયાન માઈનોર રીપેરીંગ કરવું પડે તેવી સ્થિતિ છે અને બ્રિજના જોઈન્ટ એક્સપાન્શન બદલવાની જરૂરિયાત છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ચીમનભાઈ પટેલ બ્રિજ મામલે ખુલાસો કરતા જણાવવામાં આવ્યું છે કે ચીમનભાઈ પટેલ બ્રિજ માટે નિયુક્ત ઈન્સ્પેક્શન કન્સલ્ટન્ટ સાથે સંયુક્ત રીતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થળ નિરીક્ષણ દરમિયાન ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ફરિયાદમાં દર્શાવેલા અને ફોટોગ્રાફમાં જોવા મળતું સ્થળ એ બ્રિજની 'એક્સપાન્શન જોઇન્ટ' છે. દરેક બ્રિજમાં તાપમાનના ફેરફારને કારણે ડેક સ્લેબ અને રેલિંગ પેનલમાં થતાં વિસ્તરણ-સંકોચનને સુરક્ષિત રીતે સમાવવા આવા સાંધા બાંધકામ સમયે જ રાખવામાં આવે છે.
આ સ્થળે પેવર બ્લોક અને રેલિંગ પેનલમાં દેખાતો ગેપ એ સાંધાની સામાન્ય હિલચાલનું પરિણામ છે, બ્રિજના માળખામાં કોઈ ખામી નથી. ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટે ચોક્કસ અભિપ્રાય આપ્યો છે કે આ સ્થિતિ 'સ્ટ્રક્ચરલ ક્રેક' નથી અને તે બ્રિજની માળખાકીય ખામી દર્શાવતી નથી. બ્રિજના મુખ્ય માળખાકીય ભાગો- ગર્ડર, ડેક સ્લેબ, પિયર અને ફાઉન્ડેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે સુરક્ષિત તથા સ્થિર જણાયા છે. જોવા મળેલા સ્થિતિ ડિઝાઈન મુજબ રાખવામાં આવેલા મૂવમેન્ટ જોઈન્ટ પૂરતી મર્યાદિત છે અને આ સ્થળે પેવર બ્લોક તથા જોઈન્ટ સીલન્ટનું નિયમિત મરામત કાર્ય કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ