
પાટણ, 08 જુલાઈ (હિ.સ.)ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામની 15 વર્ષીય સગીરા અને ગામના જ સંજયજી અજમલજી ઠાકોરના મૃતદેહ બુધવારે વહેલી સવારે રામગઢ નજીક કેનાલના સાયફનમાંથી મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ કમરે દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ચાણસ્મા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, સગીરા મોડી રાત્રે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. દિવસભર શોધખોળ છતાં પત્તો ન લાગતા તેના પિતાએ ચાણસ્મા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સંજયજી અજમલજી ઠાકોર પર દીકરીને ભગાડી જવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહ કેનાલમાંથી મળી આવતા મામલો વધુ ગંભીર બન્યો છે.
ચાણસ્મા નગરપાલિકાની ફાયર બ્રિગેડે બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ધારપુર સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. પોલીસે સ્થળ પર પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાના સાચા કારણો જાણવા માટે ચાણસ્મા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે સગીરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ