
સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન, ગુજરાત પ્રાંત તથા મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે તા. 22 અને 23 ઓગસ્ટ, 2026ના રોજ ‘પ્રેરિત શિક્ષક, સશક્ત રાષ્ટ્ર’ની વિચારધારા સાથે દ્વિ-દિવસીય ક્ષેત્રિય અધ્યાપક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સત્રમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, પી. પી. સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પરાગ સાંઘાણી, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. કિરણ પંડ્યા તથા વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાનના સંગઠન મંત્રી કે. એન. રઘુનંદનજીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
ચિલ્ડ્રન યુનિવર્સિટીના ટી. એસ. જોષી પણ અધ્યાપકોને માર્ગદર્શન આપશે. કાર્યશાળામાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની વિવિધ કોલેજોના આશરે 100 અધ્યાપકો તથા શિક્ષણક્ષેત્રના 12 જેટલા નિષ્ણાત વક્તાઓ દ્વારા જ્ઞાનસભર માર્ગદર્શન અને સંવાદ યોજાશે. વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડૉ. રાજેશ વ્યાસ, મંત્રી ડૉ. ભાવેશ રાવલ, મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ, પાંડેસરા, સુરતના પ્રમુખ સુધાકરજી માસ્ટર તથા મંત્રી નીરજભાઈ પટેલ દ્વારા આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે કાર્યશાળાના સંયોજક તરીકે વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન, ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ ડૉ. રિદ્ધિ દેસાઈ દ્વારા સમગ્ર આયોજનનું સંકલન કરવામાં આવ્યું છે. ભારતીય શિક્ષણ પરંપરા, મૂલ્યઆધારિત શિક્ષણ, આધુનિક ટેક્નોલોજી અને નવીન શિક્ષણ પદ્ધતિઓના સમન્વય દ્વારા શિક્ષણક્ષેત્રે નવી દિશા અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની ભૂમિકા વધુ સશક્ત બનાવવાનો આ કાર્યશાળાનો મુખ્ય હેતુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે