
અમદાવાદ, 24 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત હાઇકોર્ટે નર્મદાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી છે. ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવવાના કેસમાં ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બે મહિનાથી જેલમાં બંધ છે.
હાઇકોર્ટે કહ્યું કે અગાઉ જામીન શરતોના નિયમોનો ભંગ નહીં કરવાની શરતે છોડ્યા હતા, છતાં ક્રાઇમમાં સંડોવાયા છે. સામાન્ય લોકોમાં ગેરસમજ ઊભી થાય છે કે સત્તામાં હોય તે લોકો છૂટી જાય છે.
ચૈતર સાથે તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે અને આર્મ્સ એકટની કલમ 25 વગેરે મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ નર્મદાની કોર્ટે ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યાર બાદ 23 જૂન, 2026ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આમ તેઓ બે મહિનાથી જેલમાં બંધ છે.
અગાઉ આ જ કેસમાં નર્મદા કોર્ટના ચુકાદા પહેલાની જામીન અરજીઓમાં રજૂઆત કરાઈ હતી કે જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી. જ્યાં ગામડામાં રહેતા લોકોએ કપાસ વાવ્યું હતું. જંગલના અધિકારીઓએ તે જગ્યાને ખાલી કરાવી સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો. આથી ગામડાના લોકોએ વળતરની માગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. જેથી ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી. જેમાં જંગલના અધિકારીઓ વળતર આપવા સંમત થતા વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ બાદમાં વનવિભાગના ઉચ્ચ અધિકારીના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને 60 હજારનું વળતર માગ્યું હતું.
ધારાસભ્યે હાથપગ તોડવાની ધમકી આપીને, ગાળો આપી હતી. તેમજ ચૈતર વસાવાએ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા કહ્યું હતું, બાદમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. વન વિભાગના કર્મચારીઓને માર મારીને ધમકી આપતા કર્મચારીઓએ પોતાના એકાઉન્ટમાંથી ATM દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ