
- તરણેતરના મેળામાંથી મને શીખવા મળ્યું છે કે તમામ પશુપાલકો તેમના પશુઓને ખૂબ જ પ્રેમ કરે છે : બાળ ગોપાલ શિવમ
સુરેન્દ્રનગર,16 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્યના પશુપાલન ખાતા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ભાતીગળ અને લોકપ્રિય તરણેતરના મેળા ખાતે પશુ પ્રદર્શન હરીફાઈનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શન હરીફાઈમાં શ્રેષ્ઠ પશુઓ અને ઉત્સાહી પશુપાલકોની હાજરી આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમાં ખાસ કરીને નાની વયે પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ રસ ધરાવતા રાજકોટના બાળ પશુપાલક શિવમ બોરીચા પણ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા છે.
શિવમે તેમના અનુભવ વિશે જણાવ્યું હતું કે, તરણેતર મેળામાં અમે વોળકી ઔલાદનું ગાય લઈને આવ્યા છે.
અમે છેલ્લા 2 વર્ષથી અહીં આવીએ છીએ. મને તરણેતરના મેળામાંથી શીખવા મળ્યું છે કે તમામ પશુપાલકો તેમના પશુઓને ખૂબ પ્રેમ કરે છે. અમારો સમગ્ર પરિવાર પશુઓનો વ્હાલપૂર્વક ઉછેર કરીએ છીએ.
શિવમ બોરીચા જેવા બાળ અને યુવા પશુપાલકોનો આ ઉત્સાહ એ વાતની પ્રતીતિ કરાવે છે કે, ગુજરાતની પરંપરાગત પશુપાલન સંસ્કૃતિ હવે નવી પેઢીના હાથમાં વધુ સુરક્ષિત અને વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધી રહી છે. મેળામાં આવેલા મુલાકાતીઓએ પણ નાના શિવમના ઉત્સાહ અને પશુઓ પ્રત્યેના પ્રેમને બિરદાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ